અમદાવાદમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે વિવાદાસ્પદ બનેલો Hatkeshwar Bridge હવે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને 4 એપ્રિલ સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
તોડકામનો ખર્ચ અને વસૂલાત
બ્રિજ તોડવા માટે અંદાજે રૂ. 3.90 કરોડનો ખર્ચ થશે, જે બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે. નોંધનીય છે કે આ બ્રિજ વર્ષ 2017માં લગભગ 40 કરોડના ખર્ચે બનાવાયો હતો, પરંતુ હવે તે ભંગારમાંથી માત્ર અંદાજે 4 કરોડ જેટલી જ આવક આપશે.
ભ્રષ્ટાચારના આક્ષેપો અને બંધ બ્રિજ
આ બ્રિજને નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે વર્ષ 2022થી બંધ રાખવામાં આવ્યો હતો. સ્થાનિકો અને વિપક્ષ દ્વારા વારંવાર ઝડપી કાર્યવાહી કરવાની માંગ છતાં કામમાં વિલંબ થયો હોવાના આક્ષેપો થયા હતા.
તબક્કાવાર તોડકામ અને ટ્રાફિક વ્યવસ્થા
બ્રિજના મુખ્ય સ્પાન અને બાકી રહેલા ભાગોને તબક્કાવાર તોડવામાં આવશે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે:
– ગુરુજી બ્રિજથી સ્વસ્તિક ચાર રસ્તા જતા વાહનચાલકોને કે.સી.ટી સ્ટોલ પાસેના સ્પાન નીચેથી પસાર થવું રહેશે.
– સ્વસ્તિક ચાર રસ્તાથી ગુરુજી બ્રિજ તરફ જતા વાહનચાલકોને અગાઉ તોડી પાડેલા ભાગની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવો પડશે.
અગવડતા ટાળવા અપીલ
AMC દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે AMCના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે માત્ર પાંચ વર્ષમાં જ બનાવેલો બ્રિજ તોડી પાડવો પડી રહ્યો છે, જેને કારણે શહેરી વિકાસ અને કામની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





