દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણને લઈને કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી છે કે આગામી વર્ષથી મુંબઈ-પુણે બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને પુણે વચ્ચેનો અંદાજે 170 કિલોમીટરનો પ્રવાસ માત્ર 48 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.
દેશી ટેકનોલોજીથી વિકસશે પ્રોજેક્ટ
રેલવે મંત્રીએ જણાવ્યું કે ભારત હવે બુલેટ ટ્રેન માટે જરૂરી ટેકનોલોજી અને ક્ષમતા વિકસાવી ચૂક્યું છે. હાલમાં ચાલી રહેલો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાનના સહયોગથી અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જ્યારે મુંબઈ-પુણે બુલેટ ટ્રેન કોરિડોર સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીના આધારે વિકસાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે સરકારનું લક્ષ્ય દેશના મુખ્ય શહેરોને હાઈ-સ્પીડ રેલ નેટવર્ક દ્વારા જોડવાનું છે, જેથી મુસાફરીનો સમય ઘટે અને આર્થિક વિકાસને વેગ મળે.
7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કુલ સાત નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. તેમાં મુંબઈ-પુણે ઉપરાંત પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેંગલુરુ, હૈદરાબાદ-ચેન્નાઈ, ચેન્નાઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી જેવા મહત્વપૂર્ણ માર્ગોનો સમાવેશ થાય છે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પણ ઝડપ
પુણેમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આવતા વર્ષે ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા છે. 508 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને ગુજરાતમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી પણ પ્રગતિ પર છે.
2028 સુધી સમગ્ર રૂટ પૂર્ણ થવાની આશા
અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ કોરિડોરના સુરત-વાપી વિભાગમાં ઓગસ્ટ 2027 સુધી બુલેટ ટ્રેન સેવા શરૂ થઈ શકે છે. જ્યારે સમગ્ર પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂર્ણ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હાઈ-સ્પીડ ટ્રેનો આશરે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેના કારણે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.
આર્થિક અને સાંસ્કૃતિક જોડાણને મળશે વેગ
રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર બુલેટ ટ્રેન સેવા શરૂ થતાં મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને અન્ય મોટા શહેરો વચ્ચે ઝડપી કનેક્ટિવિટી ઉભી થશે. તેનાથી વેપાર, રોકાણ, રોજગારી અને પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેમજ દેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસને નવી ગતિ મળશે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





