બલૂચ નેતા એ વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં વ્યક્ત કરી ચિંતા, જાણો શું છે મામલો

પ્રખ્યાત બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ગાઢ વ્યૂહાત્મક સંબંધો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે આગામી થોડા મહિનામાં ચીન બલૂચિસ્તાનમાં પોતાના લશ્કરી સૈનિકો તૈનાત કરી શકે છે, જે સમગ્ર દક્ષિણ એશિયા માટે ગંભીર ખતરો બની શકે છે.

મીર યાર બલોચે જણાવ્યું કે બલૂચિસ્તાન છેલ્લા અનેક દાયકાઓથી પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ દમન, રાજ્ય પ્રાયોજિત હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનોનો ભોગ બની રહ્યું છે.

પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા બાદ કૂટનીતિક પહેલ
ઉલ્લેખનીય છે કે મે 2025માં બલૂચ રાષ્ટ્રવાદી નેતાઓએ પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઔપચારિક ઘોષણા કરી હતી. આ પછી હવે મીર યાર બલોચે જાહેરાત કરી છે કે *2026ના પ્રથમ અઠવાડિયામાં “2026 બલૂચિસ્તાન ગ્લોબલ ડિપ્લોમેટિક વીક”*નું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ બલૂચિસ્તાનને વૈશ્વિક સમુદાય સાથે સીધા કૂટનીતિક સંબંધો બાંધવાની તક આપવાનો છે.

જયશંકરને લખાયેલ ખુલ્લો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ
નવા વર્ષ 2026ના અવસર પર લખાયેલ આ ખુલ્લો પત્ર મીર યાર બલોચે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. પત્રમાં તેમણે ભારત અને બલૂચિસ્તાન વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને રેખાંકિત કર્યા છે. “ભારત અને બલૂચિસ્તાન એક સહિયારો વારસો ધરાવે છે”

પત્રમાં બલોચ લખે છે કે,
“બલૂચિસ્તાન પ્રજાસત્તાકના 60 મિલિયન દેશભક્ત નાગરિકો વતી, અમે ભારતના 1.4 અબજ લોકો, સંસદ, મીડિયા અને નાગરિક સમાજને નવા વર્ષ 2026ની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ભારત અને બલૂચિસ્તાન સદીઓથી ઐતિહાસિક, સાંસ્કૃતિક, વ્યાપારી અને આધ્યાત્મિક સંબંધોથી જોડાયેલા છે. હિંગળાજ માતા મંદિર (નાની મંદિર) જેવા પવિત્ર સ્થળો આપણા સહિયારા વારસાનું પ્રતિક છે.”

મોદી સરકારના પગલાંની પ્રશંસા
મીર યાર બલોચે પત્રમાં ગયા વર્ષે મોદી સરકારે ઓપરેશન સિંદૂર અંતર્ગત લીધેલા સાહસિક પગલાંની પણ પ્રશંસા કરી છે. તેમણે લખ્યું કે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી ઠેકાણાઓ સામે લેવાયેલ કાર્યવાહી અને પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાની સૈન્ય સામે લેવામાં આવેલા પગલાં ભારતની દૃઢ રાજકીય ઇચ્છાશક્તિ દર્શાવે છે.

“69 વર્ષથી દમન ભોગવી રહેલા બલૂચ લોકો”
બલોચે જણાવ્યું કે બલૂચિસ્તાનના લોકો છેલ્લા 69 વર્ષથી પાકિસ્તાનના રાજ્ય કબજા, આતંકવાદ અને માનવાધિકાર ઉલ્લંઘનોનો સામનો કરી રહ્યા છે. “કાયમી શાંતિ અને સાર્વભૌમત્વ સુનિશ્ચિત કરવા માટે આ ખતરનાક રોગને જડમૂળથી ઉખેડી નાખવાનો સમય આવી ગયો છે,” એમ તેમણે કહ્યું.

છુપાયેલા જોખમો અને ભારત સાથે સહયોગની અપીલ
પત્રમાં બલૂચ નેતાએ ભારત સાથે મિત્રતા, વિશ્વાસ અને પરસ્પર હિતો પર આધારિત સહયોગ વધારવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે શાંતિ, વિકાસ, વેપાર, સંરક્ષણ, ઊર્જા સુરક્ષા અને ભવિષ્યના છુપાયેલા જોખમોને ઘટાડવા માટે ભારત અને બલૂચિસ્તાન વચ્ચે મજબૂત ભાગીદારી જરૂરી છે.

બલૂચિસ્તાનમાં ચીની સૈનિકોની શક્ય હાજરી પર ચેતવણી
મીર યાર બલોચે પાકિસ્તાન-ચીન ગઠબંધનને અત્યંત ખતરનાક ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) અંતિમ તબક્કામાં છે અને જો બલૂચિસ્તાનની રક્ષણાત્મક ક્ષમતાઓ મજબૂત ન કરવામાં આવે તો ચીન બલૂચિસ્તાનમાં લશ્કરી દળો તૈનાત કરી શકે છે.

“60 મિલિયન બલૂચ લોકોની સંમતિ વિના બલૂચિસ્તાનની ધરતી પર ચીની સૈનિકોની હાજરી ભારત અને બલૂચિસ્તાન બંને માટે અકલ્પનીય ખતરો ઉભો કરશે,” એવી ચેતવણી તેમણે આપી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય
મીર યાર બલોચનો આ ખુલ્લો પત્ર હવે આંતરરાષ્ટ્રીય રાજકીય અને કૂટનીતિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બલૂચિસ્તાન મુદ્દે ભારત શું ભૂમિકા ભજવે છે અને ચીન-પાકિસ્તાન ગઠબંધન સામે કઈ વ્યૂહરચના અપનાવે છે, તેના પર સૌની નજર ટકેલી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in

Related Posts

ઈરાનના નાતાન્ઝ પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો, અમેરિકા અને ઇઝરાયલે કર્યો હુમલો

ઈરાનના સૌથી મહત્વપૂર્ણ નાતાન્ઝ પરમાણુ સુવિધા પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ભારે બોમ્બમારો કર્યો હતો. રાહતની વાત એ છે કે આ…

સૈનિક શાળાઓને લઈ રાજનાથ સિંહે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું

દેશની સંરક્ષણ તૈયારીઓ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારીને એક નવો પરિમાણ આપતા, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મોટી જાહેરાતો કરી છે. સૈનિક સ્કૂલ ઘોરાખલના ડાયમંડ જ્યુબિલી સમારોહને સંબોધતા, તેમણે દેશભરમાં…