તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે દાખલ થયેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ગાંધીનગરના બે અરજદારોએ ફિલ્મના સંવાદોથી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો દાવો કરી અરજી કરી હતી.
આ અરજીમાં ફિલ્મમેકર આદિત્ય ધાર, પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો, સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તેમજ બોલિવૂડ અભિનેતા સંજય દત્તને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. અરજદાર પૈકી એક ઉત્તર ગુજરાત બલોચ સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ છે.
અરજદારોને ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા ભજવાયેલા પાત્ર એસપી ચૌધરી અસલમના એક સંવાદ સામે ગંભીર વાંધો હતો. આ સંવાદમાં બલોચ સમુદાય અંગે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હોવાનું અરજદારોએ જણાવ્યું હતું.
વાણી સ્વતંત્રતાનો દુરુપયોગ સ્વીકાર્ય નહીં
અરજદારો તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વાણી સ્વતંત્રતાના નામે કોઈપણ સમુદાયને બદનામ કરવો યોગ્ય નથી. તેમણે ફિલ્મ ધુરંધરમાંથી તેમજ તેની પ્રમોશનલ સામગ્રી અને ઓનલાઈન કન્ટેન્ટમાંથી બલોચ સમુદાય વિરુદ્ધના તમામ અપમાનજનક સંદર્ભો દૂર કરવા અથવા સેન્સર કરવાની માગ કરી હતી.
આ અરજી અંગે 9 જાન્યુઆરી, 2026ના રોજ સુનાવણી દરમિયાન કોર્ટને જાણ કરાઈ હતી કે મિનિસ્ટ્રી ઑફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા પહેલેથી જ ફિલ્મના પ્રોડ્યુસર-ડિરેક્ટર આદિત્ય ધાર અને જિયો સ્ટુડિયોને વિવાદાસ્પદ સંવાદો દૂર કરવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે.
કોર્ટને આપવામાં આવી ખાતરી
સુનાવણી દરમિયાન ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધાર અને પ્રોડક્શન હાઉસ જિયો સ્ટુડિયો તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે ફિલ્મમાંથી તમામ વિવાદાસ્પદ અને અપમાનજનક સંવાદો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે.
બલોચ સમાજની રજૂઆતને ગુજરાત હાઈકોર્ટ અને CBFC દ્વારા ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી હતી. આ કેસમાં અરજદાર તરફેથી એડવોકેટ હિતેન્દ્ર રાજપૂત અને એડવોકેટ ભાર્ગવ ડાંગર દ્વારા વિગતવાર દલીલો રજૂ કરવામાં આવી હતી, જેને કોર્ટ અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા માન્ય રાખવામાં આવી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






