લશ્કર-એ-તૈયબા ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં પોતાનું નેટવર્ક મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું હોવાનું સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદી સંગઠનો ફરી સક્રિય બનવાના પ્રયાસો કરી રહ્યા છે અને સ્થાનિક સ્તરે પોતાની પકડ મજબૂત કરવા માટે નવી રણનીતિ પર કામ કરી રહ્યા છે.
હાફિઝ તલ્હા સઈદની મહત્વપૂર્ણ બેઠક
મળતી માહિતી મુજબ હાફિઝ તલ્હા સઈદ એ તાજેતરમાં PoKના ભૂતપૂર્વ વડા પ્રધાન અને ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સ ના પ્રમુખ સરદાર અતીક અહેમદ ખાન સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. સુરક્ષા એજન્સીઓ આ બેઠકને સ્થાનિક સ્તરે કાશ્મીર મુદ્દે વાતાવરણ પ્રભાવિત કરવાનો પ્રયાસ ગણાવી રહી છે.
ભરતી અને નેટવર્ક વધારવાના પ્રયાસ
સૂત્રો અનુસાર લશ્કર-એ-તૈયબા PoKમાં મદરેસાઓ અને તેના સહયોગી સંગઠનો મારફતે નવી ભરતી અને સંગઠનની પ્રવૃત્તિઓ વધારવાના પ્રયાસોમાં લાગેલું છે. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદી સંગઠનોના અનેક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના દાવા પર ફરી સવાલ
પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર એવો દાવો કરતું આવ્યું છે કે તેનો આતંકવાદી સંગઠનો સાથે કોઈ સીધો સંબંધ નથી. જોકે, સમયાંતરે આવા સંગઠનો સાથે જોડાયેલા લોકો જાહેર કાર્યક્રમોમાં જોવા મળતા આ દાવાઓ પર સવાલ ઊભા થાય છે. તાજેતરના કેટલાક કાર્યક્રમોમાં પાકિસ્તાનના રાજકીય નેતાઓ હાફિઝ તલ્હા સઈદ સાથે સ્ટેજ શેર કરતા પણ જોવા મળ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
26/11 હુમલાના માસ્ટરમાઈન્ડનો પુત્ર
ઉલ્લેખનીય છે કે હાફિઝ સઈદ ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276




