જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ચોમાસાને લઈને મોટી આગાહી, ગુજરાતમાં 10થી 12 આની વરસાદની સંભાવના

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે 25 મેના રોજ યોજાયેલા 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં ગુજરાતના આગામી ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહીઓ સામે આવી છે. રાજ્યભરના 47માંથી 45 જેટલા અનુભવી આગાહીકારો અને હવામાન વિશ્લેષકોએ વર્ષ 2026ના ચોમાસા અંગે પોતાના અનુમાન રજૂ કર્યા હતા.

આગાહીકારોના મતે ચાલુ વર્ષે ગુજરાતમાં 10થી 12 આની એટલે કે અંદાજે 75 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે જૂન મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં વાવણીલાયક વરસાદ પડી શકે છે.

બે તબક્કામાં વાવણીની શક્યતા
પરિસંવાદમાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ એવી વાવણી અંગે પણ આગાહી કરવામાં આવી હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ વર્ષે ખેડૂતોને બે તબક્કામાં વાવણી કરવાની તક મળી શકે છે.
– પ્રથમ વાવણીનો સમય: 6 જૂનથી 11 જૂન વચ્ચે
– બીજી વાવણીનો સમય: 17 જૂનથી 26 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદ સાથે
આ આગાહી ખેડૂતોને પાક આયોજન અને જમીન તૈયારી માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

પરંપરાગત પદ્ધતિઓના આધારે આગાહી
આગાહીકારોએ માત્ર આધુનિક હવામાન માહિતી જ નહીં પરંતુ પરંપરાગત કુદરતી સંકેતોનો પણ આધાર લીધો હતો. જેમાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ, હોળીની ઝાળ, અખાત્રીજના પવનોની દિશા, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ અને વૃક્ષોમાં આવતાં ફેરફારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગરમાળાના ફૂલ, બોર, ખાખરો અને કેસુડાના ઝાડ પર ફૂલોના પ્રમાણ સહિતના સંકેતો પરથી પણ ચોમાસાની સ્થિતિનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. સાથે જ ભડલી વાક્યોના આધારે પણ આગાહી રજૂ કરવામાં આવી હતી.

ચોમાસું મધ્યમ રહેવાનો અંદાજ
આગાહીકારોમાંથી 14 અવલોકનકારોના મતે આ વર્ષ ખૂબ સારું રહેશે જ્યારે 27 આગાહીકારોએ વર્ષ મધ્યમ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ આ વર્ષે ખંડવૃષ્ટિ એટલે કે અલગ-અલગ વિસ્તારોમાં અસમાન વરસાદ રહેવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. પરિસંવાદમાં રજૂ કરાયેલા અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું અંદાજે 56 દિવસ સક્રિય રહી શકે છે. ઉપરાંત દશેરા અને દિવાળી વચ્ચે 10થી 15 દિવસનો વધુ એક વરસાદી રાઉન્ડ આવી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસાની વિદાય ઓક્ટોબરમાં
આગાહી મુજબ આગામી 15 ઓક્ટોબર આસપાસ ચોમાસું સત્તાવાર રીતે વિદાય લે તેવી સંભાવના છે. ખેડૂતો માટે આ પ્રકારની આગાહીઓ ખેતી આયોજન, પાક પસંદગી અને પાણી વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ બની શકે છે. પરંપરાગત જ્ઞાન અને આધુનિક હવામાન વિશ્લેષણના સમન્વયથી કરવામાં આવેલી આ આગાહી હવે કેટલી સાચી સાબિત થાય છે તે પર સૌની નજર રહેશે.

 

 

 

  • Related Posts

    ઓપરેશન સિંદૂર બાદ PoKમાં લશ્કર ફરી સક્રિય, હાફિઝ તલ્હા સઈદના નવા પ્રયાસોથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

    લશ્કર-એ-તૈયબા ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં પોતાનું નેટવર્ક મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું હોવાનું સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદી સંગઠનો ફરી સક્રિય બનવાના…

    ગુલમર્ગમાં ગોન્ડોલા રાઇડ અચાનક બંધ, રાજકોટ-અમદાવાદના 1 હજારથી વધુ પર્યટકો ફસાયા

    ગુલમર્ગ ગોન્ડોલા ખાતે ઉનાળાની રજાઓ માણવા ગયેલા ગુજરાતના પર્યટકો માટે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા એશિયાની સૌથી ઊંચી ગણાતી…