મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજ પહોંચ્યા હતા. ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બપોરે ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરીને આસ્થાની ડુબકી લગાવી હતી.મુખ્યમંત્રીએ હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે પ્રયાગરાજ આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી.
આ સાથે મુખ્યમંત્રીએ ખાસ કરીને સફાઈ-સ્વચ્છતાનું ધ્યાન રાખવા સાથે યાત્રિકોને કુંભ સ્નાન માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અને આયોજનબદ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.ગુજરાતમાંથી પણ લાખો ભાવિકો મહાકુંભ 2025માં સહભાગી થવા પ્રયાગરાજ જઈ રહ્યા છે. ત્યારે તેમને તમામ સુવિધાઓ-સેવાઓ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી ‘ગુજરાત પવેલિયન’ બનાવામાં આવ્યું છે.
ગુજરાત પવેલિયનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના વારસાને ભારત સહિત વિશ્વભરના લોકોને પરિચય કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનું છે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-180-5600 જાહેર કરાયો છે. જેમાં મહાકુંભ 2025ને લગતી તમામ માહિતીઓ ઉપરાંત પેવેલિયનની સેવાઓ વિશે જાણકારી મેળવી શકાશે.






