અમદાવાદ ગટર દુર્ઘટના મામલે હાઇકોર્ટ કડક: સફાઈ કામદારોના મોત પર FIR અને કાયદાના અમલ અંગે માગ્યો જવાબ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગટર સફાઈ દરમિયાન બે સફાઈ કામદારોના ગૂંગળામણથી થયેલા મોતના મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર પ્રતિબંધ હોવા છતાં ગટરની સફાઈ માટે લોકોને ઉતારવામાં આવતી હોવાના મુદ્દે ચાલી રહેલી જાહેરહિતની અરજી (PIL)ની સુનાવણી દરમિયાન કોર્ટે સરકાર સામે કડક સવાલો ઉઠાવ્યા છે.

જવાબદારો સામે કેટલી FIR નોંધાઈ?
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે ગટર સફાઈ દરમિયાન થયેલા અકસ્માતો અને મોતના કેસોમાં અત્યાર સુધીમાં જવાબદારો સામે કેટલી FIR નોંધવામાં આવી છે. કોર્ટે તમામ કેસોની વિગતવાર માહિતી સોગંદનામા સાથે રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

‘મશીનોની વાત કાગળ પર, ગટરમાં આજે પણ માણસો જ ઉતરે છે’
અરજદાર સુબ્રમણ્યમ ઐયરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર ગટર સફાઈ માટે આધુનિક મશીનો ખરીદવાના દાવા કરે છે, પરંતુ વાસ્તવમાં હજુ પણ સફાઈ કામદારોને ગટરમાં ઉતારવામાં આવે છે. તેમણે દલીલ કરી કે સિવિલ હોસ્પિટલમાં બનેલી તાજેતરની દુર્ઘટના એ જ દર્શાવે છે કે જમીન પર પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થયો નથી. માત્ર મશીન ખરીદ્યાના દસ્તાવેજો રજૂ કરવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી.

તમામ રજૂઆતો સોગંદનામા પર રજૂ કરવાનો આદેશ
‘માનવ ગરિમા’ નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને તમામ માહિતી સોગંદનામા પર રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ખાસ કરીને દરેક દુર્ઘટનામાં બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરો સામે લેવામાં આવેલી કાનૂની કાર્યવાહી અંગે સ્પષ્ટ માહિતી માંગેલી છે. હવે આ કેસની આગામી સુનાવણી એક મહિના બાદ હાથ ધરાશે.

2013ના કાયદાના અમલ અંગે હાઇકોર્ટનો સવાલ
હાઇકોર્ટે અગાઉની સુનાવણી દરમિયાન પણ સરકારને પૂછ્યું હતું કે ‘પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ, 2013’ અમલમાં હોવા છતાં મેન્યુઅલ સ્કેવેન્જિંગની ઘટનાઓ કેમ અટકતી નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તમામ પીડિત પરિવારો સાથે સમાન વ્યવહાર થવો જોઈએ અને વળતર ચૂકવવામાં કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ.

₹10 લાખના વળતર અંગે પણ અહેવાલ તલબ
નોંધનીય છે કે વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટે ગટર સફાઈ દરમિયાન મૃત્યુ પામતા દરેક સફાઈ કામદારના પરિવારને ₹10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. હવે કોર્ટે સરકાર પાસેથી આ આદેશના અમલ અંગેનો વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે, જેમાં કેટલા પરિવારોને વળતર ચૂકવાયું અને કેટલા કેસ હજુ બાકી છે તેની માહિતી રજૂ કરવાની રહેશે. આ કેસમાં હાઇકોર્ટની કડક ટિપ્પણીઓ બાદ રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર પ્રતિબંધના કાયદાના અસરકારક અમલ અને સફાઈ કામદારોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે.

 

 

 

 

  • Related Posts

    ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: 15-16 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના

    ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે, જ્યારે કેટલાક સ્થળોએ માત્ર હળવા ઝાપટાં પડ્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી…

    ‘બાવી’ વાવાઝોડાનો એશિયામાં કહેર: 36 ઇંચ વરસાદની આગાહી, જાપાન-તાઈવાન-ચીન સહિત અનેક દેશોમાં હાઈ એલર્ટ

    પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું શક્તિશાળી ટાયફૂન ‘બાવી’ (Typhoon Bavi) પૂર્વ એશિયાના અનેક દેશો માટે ગંભીર ખતરો બની રહ્યું છે. જાપાન, તાઈવાન, ચીન અને ફિલિપાઈન્સમાં વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું…