દેશમાં E20 પેટ્રોલ (20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ)ને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તમામ અફવાઓને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે E20 પેટ્રોલથી વાહનના એન્જિનને નુકસાન થતું હોવાનો અત્યાર સુધી એક પણ પુરાવા આધારિત કેસ તેમની સામે આવ્યો નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓ અંગે ગડકરીએ કહ્યું કે પુરાવા વગર લોકોમાં ભ્રમ ફેલાવવો યોગ્ય નથી અને આવા ઘણા દાવા ‘પેઇડ કેમ્પેઇન’નો ભાગ પણ હોઈ શકે છે.
‘જો એન્જિન ખરાબ થયું હોય તો પુરાવો રજૂ કરો’
નીતિન ગડકરીએ ખુલ્લો પડકાર આપતા કહ્યું કે જો E20 પેટ્રોલના કારણે કોઈ કારનું એન્જિન ખરાબ થયું હોય તો તે વાહનની સંપૂર્ણ વિગતો અને પુરાવા જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું કે આવા કિસ્સામાં વાહન માલિક પોતાના ડીલર ઉપરાંત સીધા તેમને પણ ફરિયાદ કરી શકે છે. ગડકરીએ દાવો કર્યો કે અત્યાર સુધી તેમની પાસે એવો એક પણ કેસ આવ્યો નથી, જેનાથી સાબિત થાય કે E20 પેટ્રોલ એન્જિનને નુકસાન પહોંચાડે છે.
માઇલેજમાં ઘટાડો અને એન્જિનને નુકસાન અલગ બાબતો
કેન્દ્રીય મંત્રીએ સ્વીકાર્યું કે ઇથેનોલની ઊર્જા ક્ષમતા સામાન્ય પેટ્રોલ કરતાં થોડી ઓછી હોવાથી કેટલીક ગાડીઓમાં માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે એન્જિન ખરાબ થઈ જાય. તેમણે જણાવ્યું કે માઇલેજમાં નજીવો ઘટાડો અને એન્જિનને નુકસાન – બંને સંપૂર્ણપણે અલગ બાબતો છે અને બંનેને એકસાથે જોડીને જોવું યોગ્ય નથી.
સરકાર કેમ આપી રહી છે E20 પેટ્રોલને પ્રોત્સાહન?
ગડકરીએ જણાવ્યું કે E20 પેટ્રોલનો મુખ્ય હેતુ દેશની આયાતી કાચા તેલ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધવાથી ભારતનું ઓઇલ ઇમ્પોર્ટ બિલ ઘટશે અને વિદેશી હૂંડિયામણની બચત થશે. તેમણે ઉમેર્યું કે ઇથેનોલ શેરડી, મકાઈ અને અન્ય કૃષિ પાકોમાંથી બનાવવામાં આવે છે. તેથી તેની માંગ વધવાથી ખેડૂતોને તેમના પાકના વધુ સારા ભાવ મળશે અને કૃષિ ક્ષેત્રને પણ સીધો લાભ થશે. ઉપરાંત ઇથેનોલ મિશ્રિત ઇંધણથી પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે, જે પર્યાવરણ માટે ફાયદાકારક છે.
E20 પેટ્રોલને લઈને રાજકીય ચર્ચા તેજ
તાજેતરમાં E20 પેટ્રોલને લઈને રાજકીય ચર્ચા પણ તેજ બની છે. કેટલાક વિપક્ષી નેતાઓએ આ ઇંધણથી વાહનચાલકોને આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે સરકારનો દાવો છે કે E20-કમ્પ્લાયન્ટ વાહનો માટે આ ઇંધણ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને નવી નીતિ અમલમાં મૂકતા પહેલાં વિવિધ સ્તરે તેની વ્યાપક ચકાસણી કરવામાં આવી હતી.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





