દેશભરમાં ચોમાસું જોર પકડી રહ્યું છે ત્યારે મુંબઈમાં ભારે વરસાદ અને તીવ્ર પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. 1 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન માત્ર છ દિવસમાં શહેરમાં વૃક્ષ ધરાશાયી થવાની 1,100થી વધુ ઘટનાઓ નોંધાઈ છે. આ દરમિયાન મુંબઈ, મીરા-ભાયંદર અને થાણે સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
છેલ્લા 24 કલાકમાં 523 વૃક્ષો પડ્યા
બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં જ 523 વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ નોંધાઈ છે. જેમાં પશ્ચિમી ઉપનગરોમાં 188, દક્ષિણ મુંબઈમાં 185 અને પૂર્વી ઉપનગરોમાં 150 બનાવો નોંધાયા છે. વૃક્ષો પડતાં અનેક માર્ગો પર ટ્રાફિક ખોરવાયો હતો, વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો અને વાહનો તેમજ ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું.
અંધેરી અને માટુંગામાં મોટી ઘટનાઓ
અંધેરી પૂર્વમાં એક રાહદારીના માથા પર ઝાડની ભારે ડાળી પડતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, માટુંગાના કિંગ્સ સર્કલ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોટું ઝાડ ધરાશાયી થતાં ટ્રાફિક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. રાહત ટીમોએ સ્થળ પર પહોંચી ઝાડ હટાવી માર્ગ ફરી શરૂ કરાવ્યો હતો.
ત્રણ વર્ષના રેકોર્ડ તૂટ્યા
BMCના આંકડા મુજબ, વર્ષ 2025ના સમગ્ર ચોમાસામાં 855, વર્ષ 2024માં 653 અને વર્ષ 2023માં 687 વૃક્ષો પડ્યા હતા. જોકે, આ વર્ષે ચોમાસાના પહેલા જ અઠવાડિયામાં 1,100 વૃક્ષો ધરાશાયી થતાં શહેરની વૃક્ષ જાળવણી અને સલામતી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
ભારે પવનને BMCએ ગણાવ્યું જવાબદાર
BMCનું કહેવું છે કે છેલ્લા ત્રણ દિવસથી મુંબઈમાં 72થી 78 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ સામાન્ય રીતે ચોમાસામાં પવનની ગતિ 20થી 30 કિમી પ્રતિ કલાક રહેતી હોય છે, પરંતુ સક્રિય મોનસૂન સિસ્ટમને કારણે આ વખતે પવનની ગતિ ત્રણ ગણી વધી ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ લોકોને અપીલ કરી છે કે પ્રતિકૂળ હવામાન દરમિયાન ખૂબ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવું.
પર્યાવરણવાદીઓએ ઉઠાવ્યા પ્રશ્નો
પર્યાવરણવાદી દેબી ગોએન્કાએ BMCના કારણો સાથે અસહમતિ વ્યક્ત કરી છે. તેમના મતે શહેરમાં આડેધડ બાંધકામ, વૃક્ષોના મૂળ આસપાસ કોંક્રિટ, પેવર બ્લોક અને અયોગ્ય કાપણીના કારણે વૃક્ષો નબળા બની રહ્યા છે. તેમણે કહ્યું કે વૃક્ષોની આસપાસ ખુલ્લી માટી ન રાખવાના કારણે મૂળ મજબૂત રહી શકતા નથી અને ભારે પવનમાં વૃક્ષો સરળતાથી ધરાશાયી થઈ જાય છે.
વૃક્ષ પડવાની ઘટનાઓમાં પાંચનાં મોત
છેલ્લા છ દિવસમાં થયેલી દુર્ઘટનાઓમાં ચેમ્બુરમાં સ્કૂલ બસ પર ઝાડ પડતાં 11 વર્ષના વિદ્યાર્થીનું મોત થયું હતું. આરે કોલોની, કુર્લા અને મીરા-ભાયંદરમાં પણ અલગ-અલગ ઘટનાઓમાં લોકોના જીવ ગયા છે. જોગેશ્વરી, વરલી અને ગોરેગાંવ સહિતના વિસ્તારોમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
BMCની એડવાઈઝરી
સતત વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને BMCની રાહત ટીમો સતત કામગીરી કરી રહી છે. મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગરૂપે શહેરના તમામ જાહેર ઉદ્યાનો અસ્થાયી રીતે બંધ કરી દીધા છે અને નાગરિકોને ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડની નીચે ઉભા ન રહેવા તેમજ ખૂબ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276




