સુરતમાં 2 કલાકમાં 4.41 ઇંચ વરસાદ: રસ્તાઓ નદી બન્યા, ઘૂંટણસમા પાણીમાં વાહનો ફસાયા

સુરત શહેરમાં સોમવારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. માત્ર બે કલાકમાં 4.41 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ભારે વરસાદના કારણે અડાજણ, સલાબતપુરા, કતારગામ, વરાછા, પાલનપુર, ઉધના સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજનું પાણી પાછું વળતાં રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળ્યું હતું. મુખ્ય રસ્તાઓ ઉપરાંત આંતરિક માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

રાજ્યમાં સુરતમાં સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં સુરત શહેરમાં સૌથી વધુ 4.41 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કામરેજમાં 3.31 ઇંચ, વલસાડના વાપીમાં 4.13 ઇંચ, પારડીમાં 4.09 ઇંચ અને નાનપોંઢામાં 2.99 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદ બાદ ટ્રાફિક જામ
બપોર પછી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ઓફિસ છૂટવાના સમયે રસ્તાઓ પર વાહનોની ભારે અવરજવર હતી. અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. પાણીમાં ફસાયેલા અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું હતું.

અડાજણમાં વૃક્ષ ધરાશાયી, વાહનચાલકો મુશ્કેલીમાં
અડાજણના ઋષભ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં મુખ્ય માર્ગ તળાવમાં ફેરવાઈ ગયો હતો. ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક બાઇક અને કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર વધુ પ્રભાવિત થયો હતો. કેટલાક વિસ્તારોમાં ગટરના ઢાંકણામાંથી ગંદુ પાણી બહાર આવતાં લોકોની મુશ્કેલી વધી હતી.

સલાબતપુરા સહિતના વિસ્તારોમાં પાલિકાની કામગીરી
સલાબતપુરા વિસ્તારમાં સપ્તશૃંગી માતાના મંદિર નજીક ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ભારે વરસાદ બાદ સુરત મહાનગરપાલિકાની ટીમો વિવિધ વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ માટે મેદાનમાં ઉતરી હતી. જોકે અનેક સ્થળોએ લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

 

 

 

  • Related Posts

    દિલ્હી કસ્ટમ્સનું ઓપરેશન: રિયાધથી આવેલા મુસાફર પાસેથી 745.8 ગ્રામ સોનાની પેસ્ટ જપ્ત, બેની ધરપકડ

    દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે સોનાની કથિત દાણચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. રિયાધથી દિલ્હી પહોંચેલા એક મુસાફર પાસેથી 745.8 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવતા કસ્ટમ્સ અધિકારીઓએ તેને જપ્ત કરી છે. આ કાર્યવાહી બાદ સોનાની દાણચોરીમાં કથિત રીતે સંડોવાયેલા કેરિયર અને રિસીવર બંનેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ એરપોર્ટ પર સુરક્ષા અને કસ્ટમ્સની સઘન તપાસની કામગીરીને ફરી ચર્ચામાં લાવી છે. વિદેશથી ભારતમાં સોનું લાવતી વખતે કસ્ટમ્સના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. નિયમો મુજબ મુસાફરો માટે સોનાના આયાત સંબંધિત ચોક્કસ જથ્થા અને શરતો નક્કી કરવામાં આવી છે. દિલ્હીના એરપોર્ટ પર રિયાધથી આવેલા મુસાફર પર શંકા પ્રાથમિક માહિતી મુજબ રિયાધથી દિલ્હી પહોંચેલા મુસાફરની કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.…

    LPG e-KYC માટે હવે માત્ર બે દિવસ બાકી, 23 ઓગસ્ટ પહેલાં પૂર્ણ કરો પ્રક્રિયા

    રાંધણગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઇન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસના જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત e-KYC પૂર્ણ કરી નથી, તેમના માટે હવે માત્ર બે દિવસનો સમય બાકી છે. LPG e-KYCની અંતિમ તારીખ 23 ઓગસ્ટ 2026 નક્કી કરવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા માટે 16 ઓગસ્ટ સુધીની સમયમર્યાદા હતી, જેને બાદમાં વધારવામાં આવી હતી. જે ગ્રાહકોએ હજુ સુધી e-KYC પૂર્ણ કરી નથી તેમણે સમયમર્યાદા પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરી લેવી જરૂરી છે. છેલ્લી તારીખ બાદ LPG સિલિન્ડર બુકિંગ અને સબસિડી સંબંધિત સેવાઓમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. શા માટે જરૂરી છે LPG e-KYC? e-KYCનો મુખ્ય હેતુ LPG ગ્રાહકોની ઓળખની ચકાસણી કરવાનો છે. આધાર આધારિત ચકાસણીથી સાચા ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવે…