NEET-UG 2026 માટે વાયુસેનાની મદદ લેશે સરકાર, Mi-17 હેલિકોપ્ટરથી પહોંચાડાશે પ્રશ્નપત્રો

NEET-UG 2026ની પુનઃપરીક્ષાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે આ વખતે કડક અને અભૂતપૂર્વ પગલાં ભર્યા છે. ગયા વર્ષે પેપર લીક વિવાદ બાદ પરીક્ષા પ્રક્રિયાની વિશ્વસનીયતા જાળવવા માટે પ્રથમ વખત દેશભરમાં પ્રશ્નપત્રોના પરિવહન માટે ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટર અને અન્ય સૈન્ય વિમાનોનો ઉપયોગ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 21 જૂને યોજાનારી NEET-UG 2026 પરીક્ષાના પ્રશ્નપત્રોને દેશના વિવિધ રાજ્યોમાં સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે એરફોર્સની વિશેષ મદદ લેવામાં આવશે. પ્રશ્નપત્રોને પહેલા પસંદ કરાયેલા એરફોર્સ સ્ટેશનો પર પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ પરીક્ષા કેન્દ્રો સુધી મોકલવામાં આવશે.

પેપર લીક બાદ બદલાઈ સુરક્ષા વ્યૂહરચના
ગયા વર્ષે NEET પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિઓના આરોપોને કારણે દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના કારણે પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા અને વિશ્વસનીયતા અંગે અનેક સવાલો ઊભા થયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને સુરક્ષા એજન્સીઓએ મળીને નવી મલ્ટી-લેયર સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરી છે. પ્રશ્નપત્રોના પરિવહનને સૌથી સંવેદનશીલ તબક્કો ગણાવીને આ વખતે રોડ ટ્રાન્સપોર્ટની જગ્યાએ સૈન્ય સંસાધનોનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રશ્નપત્રોને દેશભરના 18 એરફોર્સ સ્ટેશનો સુધી વિશેષ સુરક્ષા હેઠળ પહોંચાડવામાં આવશે.

વાયુસેનાની સેવા માટે ચૂકવવો પડશે ખર્ચ
સામાન્ય માન્યતા મુજબ સરકારી કાર્યો માટે સૈન્યના સંસાધનોનો ઉપયોગ મફતમાં થતો હોવાનું માનવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ભારતીય વાયુસેના પોતાની સેવાઓ માટે નિર્ધારિત ચાર્જ વસૂલે છે. રક્ષામંત્રાલય દ્વારા નક્કી કરાયેલા ‘રિકવરી રેટ’ મુજબ સંબંધિત એજન્સીઓને હેલિકોપ્ટર અથવા વિમાનના ઉપયોગ બદલ ચૂકવણી કરવી પડે છે. આ ખર્ચ ફ્લાઈંગ અવર્સના આધારે નક્કી કરવામાં આવે છે. હેલિકોપ્ટરના ટેક-ઓફથી લઈને લેન્ડિંગ સુધીના કુલ સમયને આધારે બિલ તૈયાર કરવામાં આવે છે. ચૂંટણી, આપત્તિ વ્યવસ્થાપન અને અન્ય સરકારી અભિયાનોમાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવે છે.

કેટલો હોઈ શકે છે ખર્ચ?
સત્તાવાર દરો જાહેર કરવામાં આવતા નથી, પરંતુ ઉપલબ્ધ માહિતી અનુસાર Mi-17V5 હેલિકોપ્ટરનો ઓપરેટિંગ ખર્ચ પ્રતિ કલાક અંદાજે ₹2.8 લાખથી ₹5.5 લાખ સુધી હોઈ શકે છે. આ ખર્ચમાં ઇંધણ, મેઇન્ટેનન્સ, સ્પેર પાર્ટ્સ, ક્રૂ, વીમો અને અન્ય ઓપરેશનલ ખર્ચનો સમાવેશ થાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ Mi-17V5 હેલિકોપ્ટર દર કલાકે અંદાજે 800થી 1000 લીટર જેટ ફ્યુઅલનો વપરાશ કરે છે. વર્તમાન દરે માત્ર ઇંધણનો ખર્ચ જ પ્રતિ કલાક ₹60 હજારથી ₹90 હજાર સુધી પહોંચી શકે છે.

Mi-17 કેમ બન્યું પ્રથમ પસંદગી?
ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર દેશના સૌથી વિશ્વસનીય ટ્રાન્સપોર્ટ પ્લેટફોર્મમાં સામેલ છે. ભારે વજન વહન કરવાની ક્ષમતા, ખરાબ હવામાનમાં પણ કામગીરી કરવાની સક્ષમતા અને આધુનિક નેવિગેશન તથા સુરક્ષા સિસ્ટમને કારણે તેને આ કામગીરી માટે પસંદ કરવામાં આવ્યું છે.

મલ્ટી-લેયર સુરક્ષા વ્યવસ્થા અમલમાં
પરીક્ષાના પ્રશ્નપત્રોને પ્રિન્ટિંગ બાદ વિશેષ સુરક્ષિત કન્ટેનરમાં સીલ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં ડિજિટલ ટ્રેકિંગ અને રિયલ-ટાઈમ મોનિટરિંગની વ્યવસ્થા રહેશે. પ્રશ્નપત્રો સુધી માત્ર અધિકૃત અધિકારીઓને જ પહોંચવાની મંજૂરી આપવામાં આવશે. એરફોર્સ સ્ટેશનો પર પહોંચ્યા બાદ રાજ્ય પ્રશાસન, પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની દેખરેખ હેઠળ પ્રશ્નપત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવશે. પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવેલી આ નવી વ્યૂહરચનાને દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાં સુરક્ષાનું નવું મોડેલ માનવામાં આવી રહ્યું છે.

 

 

 

  • Related Posts

    ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

    ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…

    કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

    ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…