રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસા પૂર્વે અનોખો ડબલ ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં એક તરફ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 12થી 14 જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, 8થી 14 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિનો વ્યાપ વધીને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ દરમિયાન 15થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી ચાર દિવસ સુધી મુખ્યત્વે સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોકે 12થી 14 જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો 15થી 20 નોટ્સની ઝડપે ફૂંકાશે, જે ક્યારેક વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલા તાપમાન મુજબ રાજકોટ અને અમદાવાદમાં 41.9 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જ્યારે સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી અને વીવીનગરમાં 40.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાના આગમન અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં ચોમાસા પૂર્વે રાજ્યમાં ગરમી અને વરસાદના મિશ્ર માહોલને કારણે લોકોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમી વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હોવાથી ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોને હવામાનના બદલાતા સ્વરૂપને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

 

 

 

  • Related Posts

    કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

    ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…

    કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ લશ્કર આતંકી મોહમ્મદ લતીફ ભટ સામે સુરક્ષા એજન્સીઓનો સિકંજો, શ્રીનગરમાં ‘વોન્ટેડ’ પોસ્ટરો

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા અભિયાનને વધુ તીવ્ર બનાવતાં ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (LeT)ના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મોહમ્મદ લતીફ ભટને ઝડપી પાડવા માટે વ્યાપક કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ કાશ્મીરમાં તાજેતરમાં થયેલી લક્ષિત હત્યાઓમાં તેની સંડોવણી હોવાની શંકા છે. આ કેસમાં એક પોલીસ જવાન અને બે પરપ્રાંતીય મજૂરોની હત્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર કાશ્મીર ખીણમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સુધી ઝડપથી પહોંચી શકાય તે માટે પોલીસે અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સામાન્ય નાગરિકોનો સહયોગ મેળવવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત શ્રીનગર શહેરના વિવિધ જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને પ્રેસ એન્ક્લેવ સહિતના વિસ્તારોમાં મોહમ્મદ લતીફ ભટના ફોટોગ્રાફ સાથે ‘વોન્ટેડ’ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં તેની ઓળખ અંગે માહિતી આપવામાં આવી…