કેન્દ્ર સરકારે નાગરિકતા મેળવવા સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 18 મે 2026ના રોજ જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નાગરિકોએ ભારતની નાગરિકતા મેળવવા માટે પોતાનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત રહેશે.
આ નવા નિયમો નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ ભારતની નાગરિકતા માટે અરજી કરનાર લોકો પર લાગુ પડશે. ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના અરજદારો માટે સરકારે આ નિયમોમાં ફેરફાર કર્યો છે.
નવા નિયમો અનુસાર હવે અરજદારે એફિડેવિટ આપીને જાહેર કરવું પડશે કે તેમની પાસે હાલમાં અથવા અગાઉ આ ત્રણ દેશોમાંથી કોઈ દેશનો પાસપોર્ટ હતો કે નહીં. જો અરજદાર પાસે માન્ય અથવા મુદત પૂર્ણ થયેલો પાસપોર્ટ હશે તો તેની સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત રહેશે.
સરકારે નાગરિકતા નિયમો 2009ની અનુસૂચિ ICમાં સુધારો કરીને આ પ્રસ્તાવને સત્તાવાર રીતે અમલમાં મૂક્યો છે. અરજદારે પાસપોર્ટ નંબર, પાસપોર્ટ ક્યારે અને ક્યાંથી જારી થયો હતો તેમજ તેની એક્સપાયરી તારીખ જેવી માહિતી આપવાની રહેશે.
આ ઉપરાંત, નાગરિકતા મંજૂર થયા બાદ 15 દિવસની અંદર અરજદારે પોતાના માન્ય અને મુદત પૂર્ણ થયેલા બંને પ્રકારના પાસપોર્ટ સંબંધિત સિનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ અથવા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ પાસે સરન્ડર કરવાની સંમતિ પણ આપવી પડશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને નાગરિકતા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને દસ્તાવેજી ચકાસણી મજબૂત બનાવવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





