પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભયાનક આત્મઘાતી હુમલો થયો છે. લક્કી મારવત જિલ્લામાં વિસ્ફોટકોથી ભરેલી રિક્ષામાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
નૌરંગ બજારના ફાટક ચોક પર બ્લાસ્ટ
જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકોથી ભરેલી રિક્ષામાં સવાર હતો અને તેણે નૌરંગ બજારના ફાટક ચોક વિસ્તારમાં પોતાને ઉડાવી દીધો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મૃતકોમાં બે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઘટનાના તરત બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર
હુમલા બાદ નજીકની હોસ્પિટલોમાં તાત્કાલિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તમામ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ મોહમ્મદ ઇશાકના જણાવ્યા મુજબ વિસ્ફોટ બાદ 37 જેટલા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
બચાવ કામગીરી ચાલુ
વિસ્ફોટ બાદ બચાવ ટીમો અને કટોકટી સેવાઓ દ્વારા વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી છે. તાજેતરના સમયમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકી હુમલાઓમાં વધારો નોંધાયો છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઉભા થયા છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





