સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો? PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત સમજીએ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સાથે એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવાની અપીલ કરી છે. આ અપીલ પાછળ માત્ર બચત નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનું મોટું આર્થિક ગણિત છુપાયેલું છે.

ભારત સોનાનો મોટો આયાતકાર
ભારત વિશ્વમાં સોનાનો બીજા નંબરનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. દેશમાં વપરાતું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરવામાં આવે છે અને તેની ચૂકવણી અમેરિકન ડોલરમાં કરવી પડે છે. આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતે અંદાજે 72 બિલિયન ડોલર એટલે કે લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું સોનું આયાત કર્યું હતું. આ અગાઉના વર્ષની સરખામણીએ લગભગ 24 ટકા વધુ છે. દેશની કુલ આયાતમાં લગભગ 10 ટકા હિસ્સો માત્ર સોનાનો હોવાનું માનવામાં આવે છે.

સોનાની ખરીદી ઘટે તો શું ફાયદો?
આર્થિક નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો લોકો એક વર્ષ સુધી સોનાની ખરીદીમાં ઘટાડો કરે તો દેશના વિદેશી ચલણ ભંડાર પરનો દબાણ ઓછો થઈ શકે છે. જો સોનાની આયાતમાં 30થી 40 ટકા સુધી ઘટાડો થાય તો ભારત અંદાજે 20થી 25 બિલિયન ડોલર બચાવી શકે છે. આથી ડોલરની માંગ ઘટશે અને ભારતીય રૂપિયો વધુ મજબૂત બની શકે છે. સાથે જ બચેલા ડોલરનો ઉપયોગ ક્રૂડ ઓઈલ જેવી જરૂરી આયાત માટે કરી શકાય છે.

યુદ્ધના સમયમાં કેમ જરૂરી?
હાલ અમેરિકા-ઈરાન તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ઘણા સ્થળોએ તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલર પાર પહોંચી ગયા છે. આવા સમયમાં લોકો સોનાને સુરક્ષિત રોકાણ માનીને વધુ ખરીદી કરે છે. પરંતુ ભારત જેવા આયાત આધારિત દેશ માટે આ સ્થિતિ ડોલર પર વધુ દબાણ ઊભું કરે છે. જો સોનાની આયાત અને સાથે સાથે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો થાય તો દેશની વિદેશી ચલણ સ્થિતિ વધુ સ્થિર રહી શકે છે અને આર્થિક સંકટનો સામનો કરવો સરળ બને છે.

સામાન્ય લોકો માટે શું અર્થ?
સરકારનો મત છે કે હાલનો સમય સાવચેતી રાખવાનો છે. અનાવશ્યક ઇંધણ વપરાશ અને સોનાની ખરીદીમાં ઘટાડો કરીને સામાન્ય નાગરિક પણ દેશની આર્થિક સ્થિરતામાં યોગદાન આપી શકે છે. વિશ્લેષકોના મતે, જો વૈશ્વિક તણાવ લાંબો સમય ચાલે તો ભારત માટે ઊર્જા અને આયાત ખર્ચનું સંચાલન મોટો પડકાર બની શકે છે. તેથી સરકારે લોકોમાં આર્થિક જવાબદારી અને બચત અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

 

 

  • Related Posts

    ચમોલીમાં વાદળ ફાટ્યું, તમક નાળામાં અચાનક પૂરઃ પુલ તણાયો, BRO કર્મચારી લાપતા

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સોમવારે ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારે વરસાદ બાદ નીતી ઘાટીમાં આવેલા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહના કારણે મલારીથી આગળ નાળા પર બનાવવામાં આવેલો પુલ તણાઈ ગયો હતો. પુલ તણાઈ જતાં નીતી ઘાટી તરફનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ભારે વરસાદ અને અચાનક પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાળા તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. ચમોલી જિલ્લામાં તમક નાળામાં અચાનક વધ્યો પાણીનો પ્રવાહ ચમોલી જિલ્લાના નીતી ઘાટી વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન વાદળ ફાટવાની ઘટના બનતા તમક નાળામાં અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો હતો. ચમોલી…

    ભારતીયો પર સરેરાશ રૂ. 4.77 લાખનું દેવું! 28.3 કરોડ લોકોએ લીધી લોન, ગોલ્ડ લોનમાં 600%નો ઉછાળો

    ભારતમાં સરળ હપ્તા, ડિજિટલ લોન અને ઝડપથી મળતી ક્રેડિટ સુવિધાઓના કારણે લોકોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાની રીતમાં મોટો બદલાવ આવ્યો છે. એક સમયે બચતને પ્રાથમિકતા આપતા પરિવારો હવે ઘર, વાહન, શિક્ષણ, રોજિંદા ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટે લોનનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. સંસદમાં રજૂ કરાયેલા તાજેતરના આંકડાઓ દેશના વધતા વ્યક્તિગત દેવા તરફ ધ્યાન દોરે છે. નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં યુનિક બોરોઅર્સ એટલે કે સક્રિય લોન લેનારા ગ્રાહકોની સંખ્યા 28.3 કરોડથી વધુ થઈ ગઈ છે. ઉપલબ્ધ આંકડા મુજબ વ્યક્તિદીઠ સરેરાશ દેવું આશરે રૂ. 4,77,583 સુધી પહોંચી ગયું છે. ભારતમાં પર્સનલ ક્રેડિટ રૂ. 69.39 લાખ કરોડે પહોંચ્યું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને ક્રેડિટ બ્યુરો TransUnion CIBILના ડેટાના આધારે રજૂ કરવામાં…