ભારતમાં હેન્ટાવાઇરસને લઈને ચિંતા વચ્ચે NIV અને WHOએ આપી રાહત

તાજેતરમાં ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હેન્ટાવાઇરસના કેસો સામે આવતા વૈશ્વિક સ્તરે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને જહાજ પર બે ભારતીય નાગરિકો પણ ક્રૂ મેમ્બર તરીકે હાજર હોવાના અહેવાલો બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, ભારત માટે હાલ કોઈ મોટા જાહેર સ્વાસ્થ્યના ખતરા જેવી સ્થિતિ નથી તેવી સ્પષ્ટતા ICMR, NIV અને WHO દ્વારા કરવામાં આવી છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ના ડાયરેક્ટર ડો. નવીન કુમારે જણાવ્યું કે હાલ નોંધાયેલા કેસો છૂટાછવાયા છે અને સમુદાય સ્તરે સંક્રમણ ફેલાતું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે જણાવ્યું કે હેન્ટાવાઇરસ કોવિડ-19 જેવી ઝડપથી ફેલાતી બીમારી નથી અને હાલમાં ભારત માટે ગભરાવાની જરૂર નથી.

માહિતી મુજબ MV Hondius ક્રૂઝ શિપ પર કુલ 8 શંકાસ્પદ કેસોમાંથી 5 કેસોની પુષ્ટિ થઈ છે, જ્યારે એક ડચ મહિલા સહિત કુલ 3 લોકોના મોત થયા છે. જહાજમાં અંદાજે 150 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા, જેમાં 28 દેશોના નાગરિકો સામેલ હતા. તેમાં બે ભારતીય નાગરિકો પણ ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

WHOના નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે આ સ્થિતિ કોવિડ જેવી નથી. હેન્ટાવાઇરસ મુખ્યત્વે નજીકના સંપર્ક અથવા ઉંદરના મળ-મૂત્રના સંપર્કથી ફેલાય છે. હાલમાં જહાજ પર માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે અને સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે.

શું છે હેન્ટાવાઇરસ?
હેન્ટાવાઇરસ ઉંદરોથી ફેલાતો વાયરસ છે. ઉંદરના પેશાબ, લાળ અથવા મળના સુકાયેલા કણો હવામાં ભળી જાય અને તે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે ત્યારે માણસ સંક્રમિત થઈ શકે છે. ખાસ કરીને ગોદામો, સ્ટોરેજ એરિયા અને બંધ જગ્યાઓમાં આ જોખમ વધારે રહે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ એશિયા અને યુરોપમાં જોવા મળતા હેન્ટાવાઇરસના સ્ટ્રેઇનમાં માણસથી માણસમાં સંક્રમણ અત્યંત દુર્લભ છે.

હેન્ટાવાઇરસના લક્ષણો
– હેન્ટાવાઇરસના લક્ષણો સામાન્ય રીતે સંક્રમણ પછી 1 થી 5 અઠવાડિયામાં દેખાય છે.
– અચાનક તાવ અને માથાનો દુખાવો
– શરીરમાં ભારે દુખાવો અને થાક
– ઉબકા, ઉલટી અને પેટમાં દુખાવો
– શ્વાસ લેવામાં તકલીફ
– ગંભીર સ્થિતિમાં કિડની પર અસર

ભારતની તૈયારીઓ
ICMR-NIV અને દેશભરની 165 VRDL લેબ્સમાં હેન્ટાવાઇરસની તપાસ માટે RT-PCR સુવિધા ઉપલબ્ધ છે. શંકાસ્પદ કેસોની તપાસ અને પુષ્ટિ કરવા માટે ભારત પાસે પૂરતી ક્ષમતા હોવાનું ડો. નવીન કુમારે જણાવ્યું છે.

નિષ્ણાતોની ચેતવણી
ક્લાઇમેટ ચેન્જ, ભારે વરસાદ, પૂર અને ગંદકીના કારણે ઉંદરો માનવ વસાહતો તરફ વધુ આવે છે, જેના કારણે ભવિષ્યમાં આવા વાયરસના જોખમ વધી શકે છે. નિષ્ણાતોએ સ્વચ્છતા જાળવવા અને ઉંદરોના સંપર્કથી દૂર રહેવાની સલાહ આપી છે.

બચાવ માટે જરૂરી સાવચેતી
– ગોદામો અને સ્ટોરેજ એરિયા સ્વચ્છ રાખવા
– ઉંદરવાળી જગ્યાએ જતાં માસ્ક પહેરવો
– ઘરમાં અને આસપાસ કચરો એકત્ર ન થવા દેવું
– શ્વાસની તકલીફ અથવા તાવ જણાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી

 

 

  • Related Posts

    Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

    Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

    ડાકોર રણછોડરાય મંદિરમાં મનોરથના દરોમાં મોટો વધારો, ભક્તોમાં ચર્ચા

    શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તો માટે વિવિધ ધાર્મિક મનોરથ અને સેવાઓ હવે વધુ મોંઘી બની ગઈ છે. મંદિર કમિટીએ તાજેતરમાં મનોરથના લાગામાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે, જેના કારણે ભક્તોમાં…