કોઈ અજાણ્યા દેશમાં કે પ્રદેશમાં આપણી ભાષામાં-માતૃભાષામાં વાત કરતી વ્યક્તિ મળી જાય, પછી ભલે તેને ન ઓળખતાં હોઈએ, તોપણ એક પ્રકારની સ્વજનસહ આત્મીયતા અનુભવાય એ સ્વાભાવિક છે. એટલે જ તો કહેવાય છે- ‘એક મા અને બીજી મારી માતૃભાષા’. આવી આપણી માતૃભાષાને પોંખવાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ.
“માતૃભાષા મારો શ્વાસ છે,
મારી આત્માનો વિશ્વાસ છે;
માતાની મમતા જેવી મીઠી,
શબ્દે શબ્દે સુગંધિત આસ છે.
જ્યાં પ્રથમ બોલ્યો ‘મા’ નો ઉચ્ચાર,
ત્યાંથી જ જીવનનો આરંભ થયો;
અક્ષર અક્ષર પ્રેમ ભળેલો,
હૃદયમાં સંસ્કાર સંચિત થયો.
માતૃભાષા: સંસ્કૃતિનો અરીસો
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો તેમજ લુપ્ત થતી ભાષાઓને બચાવવાનો છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા ‘BHASHINI’ એપ પણ લૉન્ચ કરવામાં આવી છે.
NEP-2020 અને શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ
બાળક જે ભાષામાં તેના પ્રથમ શબ્દો બોલે છે અને સપના જુએ છે, તે તેની માતૃભાષા છે. કોઈ પણ વ્યક્તિની માતૃભાષા, તેની સાંસ્કૃતિક વારસાનો અરીસો છે. ભારત દેશમાં પણ બાવીસ સત્તાવાર ભાષાઓ છે. ત્યારે વર્ષ-2020 માં જાહેર થયેલી નવી શિક્ષણ નીતિ (NEP-2020) માં પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ટેકનોલોજીના સંગાથે: ભાષિણી એપ
વિશ્વમાં હજારો ભાષાઓ-લોકબોલીઓ બોલાય છે અને દર વર્ષે ઘણી ભાષાઓ લુપ્ત પણ થાય છે, ત્યારે સંસ્કૃતિ અને આધુનિકતાના સંગમ તરીકે AIના ઉપયોગ થકી માતૃભાષાનો વધુ સારો ઉપયોગ થઈ શકે તે માટે કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલય દ્વારા ‘ભાષિણી-BHASHINI’ એપ પણ તૈયાર કરવામાં આવી છે.
ડિજિટલ યુગમાં ‘ભાષિણી’ ટૂલના માધ્યમથી હવે અંગ્રેજી સહિત કોઈ પણ ભાષામાંથી સ્થાનિક ભાષામાં અનુવાદ કરી શકાય છે. જેથી જે-તે વિષયને સરળતાથી સમજી શકાશે. આ એપ માત્ર અનુવાદ નથી કરતી, પરંતુ તે ભાષાકીય અંતર (Language Barrier) દૂર કરીને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવે છે.
AI આધારિત ‘ભાષિણી’ ટૂલ થકી ગુજરાતી સહિત સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકે તે માટે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘ભાષિણી રાજ્યમ્’ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
આમ, ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પણ સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ છે. ત્યારે આધુનિક યુગમાં અન્ય ભાષાઓ શીખવાની સાથે બાળકો સાથે નાનપણથી જ શુદ્ધ માતૃભાષામાં વાત કરીને, તેમને ગુજરાતીમાં લખાયેલાં પુસ્તકો વાંચતા કરીને અથવા ગુજરાતી સાહિત્યની લોકકથાઓ સંભળાવીને તેમને ભારતીય સંસ્કૃતિ અને પોતાનાં મૂળ સાથે જોડેલાં રાખી શકાય છે.
વિશ્વ માતૃભાષા દિવસ: સંઘર્ષ અને વારસાનું સન્માન
દરેક ભાષા પોતાનો સમૃદ્ધ ઇતિહાસ અને વારસો ધરાવે છે. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી પાછળ એક સંઘર્ષ ગાથા રહેલી છે. વર્ષ 1952 માં તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગલાદેશ)ના ઢાકામાં બંગાળી ભાષાને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટે લડત લડતાં અનેક વિદ્યાર્થીઓ 21મી ફેબ્રુઆરીના દિવસે શહીદ થયા હતા.
આ બલિદાનને માન આપવા માટે યુનેસ્કો (UNESCO) દ્વારા નવેમ્બર-1999 માં 21 મી ફેબ્રુઆરીને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો, જેની ઉજવણી વર્ષ-2000 થી શરૂ કરવામાં આવી. યુનેસ્કો દ્વારા વર્ષ-2026 માટેની થીમ ‘Youth voices on multilingual education’ રાખવામાં આવી છે, જે શિક્ષણમાં માતૃભાષાના પ્રયોગ દ્વારા સર્વસમાવેશક અને અસરકારક શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





