મહેસાણા જિલ્લાના ઉનાવા પાસે ઊંઝા-મહેસાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલીના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા.
ઉનાવા નજીક પહોંચતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરા જોરથી રોડ વચ્ચે આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માતમાં મોત પામેલા
આ દુર્ઘટનામાં 2 પુરુષ, 1 મહિલા અને 1 માસૂમ બાળક સહિત કુલ 4 લોકોના મોત થયા છે.
મૃતકોમાં –
રામલાલ લખાજી કુમાવત
કૈલાશભાઈ રામલાલ કુમાવત
કોમલ મદનલાલ કુમાવત
એક માસૂમ બાળક
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ગમખ્વાર અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે નિયંત્રણમાં લીધો હતો. એક હસતો-રમતો પરિવાર ઘરે પહોંચતા પહેલા જ કાળનો કોળિયો બનતા રામોલ અને પાલી બંને જગ્યાએ શોકનો માહોલ છવાયો છે.





