ગુજરાત સરકારે રાજ્યના ખાદી ઉદ્યોગ અને ગ્રામોદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તહેવારની ઋતુ દરમિયાન એક મહત્વપૂર્ણ અને લોકલભ્ય જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે, 2 ઓક્ટોબર (ગાંધી જયંતિ) થી 31 ડિસેમ્બર 2025 સુધી ખાદી અને પોલીવસ્ત્રના ખરીદપર 30 ટકાનો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે ગ્રામિણ કારીગરોને ટેકો આપવો, સ્વદેશી ઉત્પાદનોને લોકપ્રિય બનાવવું અને સ્થાનિક ઉદ્યોગોને બળ આપવો.
જીવનમાં નવી ઉર્જા લાવશે ‘સ્વદેશી’ નો સહારો
મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, “આ નિર્ણયથી હજારો કારીગર પરિવારોને નવો આશરો મળશે, અને ખાદી-ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં નોકરીઓ અને આવકની તકો વધશે.” ખાસ કરીને ગૃહ ઉદ્યોગમાં સંકળાયેલી મહિલાઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બનશે.
આ સહાય હેઠળ ખરીદી માટે ઉપલબ્ધ રહી શકે છે:
– ખાદીનું આસન, શેતરંજી
– રેશમી પટોળા, ઉની શાલ અને સ્વેટર
– રેડીમેડ ખાદી કપડાં
– હેન્ડમેડ ઉદ્યોગોની વિવિધ વસ્તુઓ
ખાસ મેળાની ઘોષણા – સમગ્ર રાજ્યમાં કાર્યક્રમ
ગુજરાત રાજ્ય ખાદી બોર્ડ દ્વારા વિવિધ શહેરોમાં વિશાળ પ્રદર્શન સહ વેચાણ મેળાઓનું આયોજન પણ કરાયું છે, જ્યાં ગ્રાહકોને સીધો 30% ડિસ્કાઉન્ટ મળશે.
પ્રથમ તબક્કાના મેળાઓ:
ભરૂચ: 5 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર 2025
ચીખલી: 5 નવેમ્બરથી 14 નવેમ્બર 2025
વાપી: 16 નવેમ્બરથી 25 નવેમ્બર 2025
આ મેળાઓમાં વિવિધ ખાદી ઉત્પાદનો, હેન્ડમેઇડ ચીજવસ્તુઓ અને સ્થાનિક રીતે તૈયાર કરાયેલ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થશે. અહીંની ખરીદી મધ્યસ્થ વગર સીધી કારીગર પાસે થી થઈ શકે છે – જેને કારણે કારીગરોને સીધો નફો મળે છે.
‘સ્વદેશી’ હવે ફેશન અને અર્થતંત્ર બંનેનો હિસ્સો
ખાદી હવે ફક્ત ભારતના સ્વાતંત્ર્ય આંદોલનનું પ્રતિક નથી રહી, પરંતુ તે આજે આધુનિક ફેશન, સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ, અને લોકલ ઈકોનોમી માટે એક મજબૂત આધારરૂપ બની છે. રાજ્ય સરકારે ખાદી ને વધુ લોકપ્રિય બનાવવા માટે આવા કાર્યક્રમો દ્વારા લોકોમાં “હર ઘર સ્વદેશી, ઘર ઘર ઉજાસ” નો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
તહેવારોમાં જ્યારે લોકો નવી ખરીદી કરતા હોય છે, ત્યારે આ 30% ડિસ્કાઉન્ટવાળી યોજના ખાદી અને સ્થાનિક ઉત્પાદનો તરફ લોકોને આકર્ષશે. રાજ્ય સરકારનો આ પગલું એક તરફ કારીગરો માટે આવક વધારશે તો બીજી તરફ ગ્રાહકોને વિશ્વસનીય અને ગુણવત્તાવાળા દેશી ઉત્પાદનોની પસંદગી માટે ઉત્તમ વિકલ્પ પણ પૂરું પાડશે.






