પંકજ મકવાણા – અમદાવાદ: ધોળકા અને તેની આસપાસના ગામોના જળસ્ત્રોતોમાં ફેલાયેલા ગંભીર પ્રદૂષણને ન રોકી શકવા બદલ ગુજરાત હાઈકોર્ટે કડક પગલાં લીધાં છે. કોર્ટે ચાર આઈએએસ અધિકારીઓ અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે અદાલતના આદેશોનું પાલન ન કરવા બદલ ‘કોર્ટના તિરસ્કાર’ની નોટિસ ફટકારી છે.
આ નોટિસમાં અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ચેરમેન આર.બી. બારડ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ચેરમેન એમ. થેન્નારસન, મેનેજિંગ ડિરેક્ટર રમ્યા મોહન અને ધોળકાના ચીફ ઓફિસર પ્રાર્થના જાડેજાનો સમાવેશ થાય છે. જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની બેન્ચે 25 સપ્ટેમ્બરે આ નોટિસ જારી કરી, જે 2018ની એક જનહિત અરજી (PIL)ના સંદર્ભમાં છે.
આ અરજીમાં હાર્દિક શાહે આક્ષેપ કર્યો હતો કે ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી અને ઔદ્યોગિક એકમોનું રાસાયણિક પ્રદૂષિત પાણી ખુલ્લી નહેરમાં છોડવામાં આવે છે. આ નહેર ત્રાસદ, ભેતાવડા અને નેસડા ગામોમાંથી પસાર થાય છે, જેના કારણે ખેતરો, ઘરો અને પીવાનું પાણી દૂષિત થઈ રહ્યું છે. આની અસર એટલી ગંભીર છે કે ગામલોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. કોર્ટે નોંધ્યું કે 2016થી GPCBને આ મુદ્દે નોટિસ આપવામાં આવી હતી અને 2021માં ગટરના પાણીના શુદ્ધિકરણ માટે માળખાગત સુવિધા ઊભી કરવા આદેશ આપ્યો હતો. જોકે, તાજેતરના નમૂનાઓમાં જણાયું કે ગટરનું પાણી હજુ પણ યોગ્ય રીતે ટ્રીટ થતું નથી અને નદીઓ તેમજ ગામોના જળસ્ત્રોતોને દૂષિત કરી રહ્યું છે.
અધિકારીઓને આપ્યો આ આદેશ
હાઈકોર્ટે આ અધિકારીઓની ઉદાસીનતાને ગંભીર ગણાવી અને સ્પષ્ટ કહ્યું કે આદેશોની અવગણના સહન નહીં થાય. કોર્ટે આગામી સુનાવણી, 3 ઓક્ટોબર સુધીમાં, પ્રદૂષણ રોકવા નક્કર યોજના રજૂ કરવા અધિકારીઓને આદેશ આપ્યો છે.આ ઘટના વહીવટી તંત્રની બેદરકારી અને જનહિતના મુદ્દાઓ પ્રત્યે ગંભીરતાના અભાવને ઉજાગર કરે છે. શું આ નોટિસથી અધિકારીઓમાં જવાબદારીની ભાવના જાગશે, ને ગામલોકોને શુદ્ધ પાણી મળશે? આ પ્રશ્નોના જવાબ હવે કોર્ટની આગામી સુનાવણી પર નિર્ભર છે.
પોલ્યુશન અનહદ થયું અને થઈ રહ્યું છે, હવે કયારે કરવામાં/લાવવામાં આવશે સોલ્યુશન?
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






