શહેરમાં ફરી એકવાર બેફામ અને જવાબદારી વિહોણી ડ્રાઈવિંગના કારણે નિર્દોષનું જીવ ગયું. અમદાવાદના સોલા બ્રિજ પર મંગળવારે સાંજે બનેલા હિટ એન્ડ રન અકસ્માતમાં કૃષિ વિભાગની ક્લાસ-2 મહિલા અધિકારી શગુફતા ખોખરનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું.
અકસ્માત કેવી રીતે બન્યો?
મળતી માહિતી અનુસાર, શગુફતા ખોખર ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં મદદનીશ નિયામક તરીકે કાર્યરત હતાં. ઓફિસની ફરજ પૂરી કરીને તેઓ એક્ટિવા સ્કૂટર પર ગાંધીનગર ખાતે તેમના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે સોલા બ્રિજ પાસે અજાણ્યા કારચાલકે પૂરઝડપે ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી વધારે હતી કે તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઈજાઓના કારણે તુરંત તેમનું મૃત્યુ થયું.
ચાલક ઘટના સ્થળ પરથી ફરાર
અકસ્માત બાદ વાહનચાલક કાયદાને અવગણતો ફરાર થઇ ગયો. હાલ SG-1 ટ્રાફિક પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નજીકના CCTV ફૂટેજની મદદથી પોલીસ આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
શગુફતા ખોખર નમ્ર અને ફરજશીલ અધિકારી તરીકે ઓળખાતા હતાં. તેમના અવસાનથી કૃષિ વિભાગમાં ગમગીનીનું માહોલ છવાઈ ગયું છે. સહકર્મચારીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે તેઓ અત્યંત નમ્ર સ્વભાવ અને સમાજપ્રતિ જોડાયેલા કર્મઠ અધિકારી હતાં.






