વિરોધ પક્ષોના ભારે વિરોધ છતાં, વકફ (સુધારા) અધિનિયમ, 2025 સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો છે અને હવે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આજથી મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી શરૂ કરશે. અત્યાર સુધીમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 10 અરજીઓ સૂચિબદ્ધ થઈ ગઈ છે.
અરજીકર્તાઓમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB), જમિયત ઉલેમા-એ-હિંદ, DMK અને કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢી અને મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે. આ નેતાઓ વકફ કાયદાને પડકારી રહ્યા છે, અને કહી રહ્યા છે કે તે બંધારણની કલમ 14 અને 15નું ઉલ્લંઘન કરે છે.
કેન્દ્રનો જવાબ: સુનાવણી પહેલાં કોર્ટે ચેતવણી આપી
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે જેથી કોઈપણ આદેશ આપતા પહેલા તેની સુનાવણી કરી શકાય. કેન્દ્રએ તાજેતરમાં વકફ (સુધારા) અધિનિયમ, 2025 ને સૂચિત કર્યું છે.
સિબ્બલે જમિયતનો પક્ષ રજૂ કર્યો
7 એપ્રિલના રોજ, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયાધીશની બેન્ચ સમક્ષ જમિયત ઉલેમા-એ-હિંદ વતી અરજી રજૂ કરી. AIMPLB અરજી 6 એપ્રિલના રોજ દાખલ કરવામાં આવી હતી.
વકફ બચાવો અભિયાન શરૂ
AIMPLB એ “વક્ફ બચાવો અભિયાન” શરૂ કર્યું છે જે 11 એપ્રિલથી 7 જુલાઈ, 2025 સુધી ચાલશે, એટલે કે કુલ 87 દિવસ આ અભિયાન ચાલશે. તેનો ઉદ્દેશ્ય એક કરોડ લોકોના હસ્તાક્ષર એકત્રિત કરીને સરકાર પર દબાણ લાવવાનો છે.
વકફ કાયદાનો ઇતિહાસ
ભારતમાં વકફ મિલકતોના સંચાલન માટે 1954માં વકફ કાયદો ઘડવામાં આવ્યો હતો. આ અંતર્ગત, રાજ્યોમાં સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને વક્ફ બોર્ડની રચના કરવામાં આવી. આજે, દેશમાં લગભગ 32 વક્ફ બોર્ડ છે, જેમાં ઘણા રાજ્યો શિયા અને સુન્ની સમુદાયો માટે અલગ બોર્ડ ચલાવે છે.
વકફ બીલની ટાઈમલાઈન
• 8 ઓગસ્ટ 2024: લોકસભામાં વકફ (સુધારા) બિલ રજૂ કરવામાં આવ્યું.
• 8 ઓગસ્ટ 2024: JPC ને મોકલવામાં આવ્યું
• 30 જાન્યુઆરી, 2025: જેપીસીએ રિપોર્ટ રજૂ કર્યો.
• 2 એપ્રિલ 2025: લોકસભામાં પસાર
• 3 એપ્રિલ 2025: રાજ્યસભામાં પસાર






