B INDIA સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સરકારી તંત્રએ મોટી કાર્યવાહી કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગેરકાયદેસર બનાવાયેલા ઝીંગા તળાવો પર બુલડોઝર ફેરવ્યું છે. તેના ખાડી નજીક બરબોધન ગામની સીમમાં આવેલા 19થી વધુ ગેરકાયદે ઝીંગા તળાવો દૂર કરવામાં આવ્યા છે. જેના કારણે લગભગ 2 લાખ ચોરસ મીટર સરકારી જમીન મુક્ત થઈ છે. જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને ડ્રેનેજ વિભાગના અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરી હતી.
નાયબ મામલતદાર એચ.ડી.ચોપડાના જણાવ્યા મુજબ, આ તળાવોમાં ઝીંગાના બચ્ચા ન હોવાથી કોઈને આર્થિક નુકસાન થયું નથી. આ ગેરકાયદે તળાવોથી અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતી હતી.
આ તળાવોના સંચાલકો વીજચોરી પણ કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. તંત્રની આ કાર્યવાહી બાદ ઓલપાડ તાલુકાના અન્ય વિસ્તારો જેવા કે સરસ, લવાછા, કુદિયાણા, દાંડી, મંદરોઈ, સોંદલાખારા, કોબા અને દેલાસા સહિતના ગામોમાં પણ આવા ગેરકાયદે તળાવો દૂર કરવાની માંગ ઊઠી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.






