લંડનમાં કલા માટે અગ્રણી સંસ્થા ધ ભવન ખાતે સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ઉલ્લેખિત માતા દેવીઓની શક્તિશાળી વાર્તાનું નૃત્યમય રજૂકરણ કરવામાં આવ્યું. ‘માતૃ વંદના’ નામનો આ વિશિષ્ટ કાર્યક્રમ યુકેમાં માતૃદિનની ઉજવણી સાથે સંકળાયેલો હતો, જે સદીઓ જૂની ભારતીય અને બ્રિટિશ પરંપરાઓને સમાવી માતાઓ અને માતૃત્વનું સન્માન કરતો એક અનોખો સમારંભ હતો.આ પ્રસંગે બકિંગહામ પેલેસ દ્વારા મહામહિમ રાજા ચાર્લ્સ વતી મોકલાયેલા અભિનંદન સંદેશનું વાચન કરવામાં આવ્યું.

શ્રોતાઓએ એક ભવ્ય શાસ્ત્રીય નૃત્ય જોયું, જેમાં સપ્ત માતૃકાઓ – સાત દિવ્ય માતાઓ – ને રક્તબીજની રાક્ષસી સેનાની સામે યુદ્ધ રત યોદ્ધાઓ તરીકે દર્શાવવામાં આવી હતી. આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેના સંઘર્ષનું પ્રતીક હતું.કાર્યક્રમની ઉજવણી માટે લંડન યુનિવર્સિટીના પ્રોફેસર પીટર ઓસ્ટિન, બાફ્ટા સભ્ય પોલ બ્રેટ, પુરસ્કાર વિજેતા લેખક તેજેન્દ્ર શર્મા અને ભવનના પાર્વતી નાયર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જ્યારે અંજના વસાએ શાસ્ત્રીય સંગીત રજૂ કર્યું.આ પ્રસંગે 30 નર્તકો દ્વારા વિવિધ શૈલીઓમાં નૃત્ય રજૂ કરવામાં આવ્યું, જેમાં ભારતની અરુંધતી શ્રીનિવાસનનો સમાવેશ થાય છે. સપ્ત માતૃકાની વાર્તા શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ ભરતનાટ્યમ, કુચીપુડી અને કથક દ્વારા આકર્ષક રીતે રજૂ કરવામાં આવી.

ઉપરાંત, સાન્વિકા કોમિનેની, મંજુ સુનિલ, લક્ષ્મી પિલ્લઈ, દેબાંજલી બિશ્વાસ, શ્રી લલિતા કોટલા અને પ્રિયા અમિત દ્વારા મણિપુરી અને મોહિનીઅટ્ટમ શૈલીઓમાં સુંદર પ્રસ્તુતિ આપવામાં આવી. અંતિમ અભિનય તરીકે, ઓડિસી નૃત્યાંગના દેવબ્રત પાલ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું, જ્યારે રાગસુધા વિંજામુરીએ ચામુંડા દેવીનું ચિત્રણ નૃત્ય દ્વારા કર્યું.સંસ્કૃતિ કેન્દ્ર છેલ્લા 15 વર્ષથી યુકે અને યુરોપમાં ભારતીય સંસ્કૃતિ અને ભાષાકીય વિવિધતા રજૂ કરવા માટે વિવિધ નૃત્યો, થીમ્સ અને વાર્તાઓનું સંશોધન અને પ્રસ્તુતિ કરી રહ્યું છે. લંડનની સુંદરલેન્ડ યુનિવર્સિટીના એસોસિયેટ લેક્ચરર અને એવોર્ડ વિજેતા નૃત્યાંગના રાગસુધા વિંજામુરી દ્વારા સ્થાપિત આ કેન્દ્ર તાજેતરમાં પ્રતિષ્ઠિત બ્રિટિશ ડાયવર્સિટી એવોર્ડ્સ 2025 માટે ફાઈનલિસ્ટ બન્યું.

ગયા વર્ષે, સંસ્કૃતિ કેન્દ્રએ વિશ્વમાં પ્રથમ વખત મુદ્ગલ પુરાણમાંથી ગણેશ અવતારોની વાર્તા રજૂ કરવાનો ગૌરવ મેળવ્યું હતું.






