છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે.. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા છે.
-> દક્ષિણ અબુઝહમાદના જંગલમાં નક્સલીઓ સાથે અથડામણ :- અધિકારીએ જણાવ્યું કે શનિવારે સાંજે નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના DRG સાથે STF સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર દક્ષિણ અબુઝહમાદના જંગલમાં ગઈ હતી. જ્યાં નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી,જેમાં ચાર નક્સલીઓને ઠાર કરાયા છે.
-> ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા :- તેમણે કહ્યું કે શનિવારે મોડી રાત્રે ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી ચાર નક્સલવાદીઓના શબ અને એકે-47 રાઇફલ અને સેલ્ફ-લોડિંગ રાઇફલ (SLR) સહિત અત્યાધુનિક હથિયારો મળી આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે ડીઆરજી હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમે પણ એન્કાઉન્ટરમાં જીવ ગુમાવ્યો છે.. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
-> વર્ષ 2025માં આ બીજું એન્કાઉન્ટર :- તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં વર્ષ 2025માં આ બીજું એન્કાઉન્ટર છે. આ પહેલા 3 જાન્યુઆરીએ છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોને ત્રણ નક્સલીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી. કેટલાક અન્ય નક્સલવાદીઓ માર્યા ગયા અથવા ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે.








