B INDIA ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લા છેલ્લા કેટલાય દિવસથી દીપડો આતંક મચાવી રહ્યો છે. પંથકમાં દીપડાના વધતા હુમલાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. દીપડાએ અલગ અલગ સ્થળે કરેલા હુમલામાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ગીર ગઢડાના કોદીયાં ગામે રાત્રે વાડી વિસ્તારમાં 2 અલગ- અલગ જગ્યાએ દીપડાએ ઘરમાં ઘૂસીને લોકો પર હુમલો કર્યો હતો.
વાડી વિસ્તારમાં પણ દીપડાએ ઘરમાં ઘુસીને આધેડ પર હુમલો કર્યો હતો. જેના કારણે તમનું મોત થયું હતું. જેથી આધેડનો મૃતદેહ ગીર ગઢડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. અને વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.છેલ્લા 5 દિવસમાં ગીર સોમનાથમાં હુમલાની 7 ઘટના બની હતી. જેમાંથી 2 લોકોના મોત નિપજ્યાં હતા.
ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાનાં ગીર વિઠલપુર ગામે બે દિવસમાં દીપડાએ બે યુવાનો પર હુમલો કર્યો. તો ગીર ગઢડામાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધી અને સુત્રાપાડાના ગામમાં પરપ્રાંતીય મજૂરના ચાર વર્ષના દીકરા પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. બીજી તરફ વન વિભાગે તેને ઝડપી પાડવા કવાયત પણ શરૂ કરી છે. પરંતુ દીપડો જાણે વન વિભાગને હાથતાળી આપી રહ્યો છે જેથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.







