અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે મકરસંક્રાંતિના શુભ અવસરે વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા.


ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવી હતી અને લાભાર્થીઓને આધુનિક, સુવિધાયુક્ત અને સુરક્ષિત આવાસો મળવાના લાભ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી શ્રી પ્રેરક શાહ, ડેપ્યુટી મેયર શ્રી દેવાંગ દાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી એમ. થેન્નારસન, હાઉસિંગ કમિશનર શ્રી એસ.બી. વસાવા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ સૂર્યા એપાર્ટમેન્ટના રહીશો તેમજ નારણપુરા વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.રીડેવલપમેન્ટ બાદ સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2માં આધુનિક માળખું, સુવિધાસભર આવાસો અને ઉત્તમ રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.







