ગુજરાતમાં ચોમાસું 2026 હવે સંપૂર્ણ તાકાત સાથે સક્રિય બન્યું છે. રાજ્ય સરકાર અને હવામાન વિભાગના સંકલિત અહેવાલ મુજબ આજે સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં કુલ સરેરાશ 138.75 મિમી (આશરે 5.5 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે રાજ્યના કુલ સરેરાશ વાર્ષિક વરસાદના 15.26 ટકા જેટલો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 196 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ
છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.
આજના દિવસ દરમિયાન નોંધાયેલ વરસાદ (સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધી):
– રાજુલા: 216 મિમી (8.5 ઇંચ)
– ખાંભા: 135 મિમી (5.31 ઇંચ)
– લીલીયા: 103 મિમી (4.06 ઇંચ)
– સાવરકુંડલા: 94 મિમી (3.7 ઇંચ)
– જાફરાબાદ: 86 મિમી (3.39 ઇંચ)
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ ભારે વરસાદ:
– ખાંભા: 197 મિમી (7.76 ઇંચ)
– રાજુલા: 171 મિમી (6.73 ઇંચ)
– ઉના: 163 મિમી (6.42 ઇંચ)
– ગણદેવી: 157 મિમી (6.18 ઇંચ)
– મહુવા: 154 મિમી (6.06 ઇંચ)
ભારે વરસાદથી 6 સ્ટેટ હાઈવે સહિત 95 રસ્તા બંધ
મુશળધાર વરસાદની અસર રાજ્યના માર્ગ અને વીજ વ્યવસ્થાપન પર પણ જોવા મળી છે. GUVNLના જણાવ્યા મુજબ વરસાદને કારણે વીજપોલ અને ટ્રાન્સફોર્મરને નુકસાન થતાં 2,457 ગામો અસરગ્રસ્ત બન્યા હતા. તેમાંમાંથી 2,336 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના 121 ગામોમાં કામગીરી ચાલુ છે.
માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 76 પંચાયત માર્ગ, 6 સ્ટેટ હાઈવે અને અન્ય 10 માર્ગ મળીને કુલ 95 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ વહેલી તકે ફરી શરૂ કરવા માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે.
નર્મદા ડેમ 64 ટકા ભરાયો, 5 ડેમ હાઈ એલર્ટ પર
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,14,577 MCFT પાણીનો સંગ્રહ છે, જે તેની કુલ ક્ષમતાના 64.23 ટકા જેટલો છે. ડેમમાં હાલ 22,203.13 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
રાજ્યના અન્ય 206 જળાશયોમાં 2,04,217 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ ક્ષમતાના 36.61 ટકા જેટલો છે. તેમાં 14 ડેમ 70 થી 100 ટકા સુધી ભરાઈ ચૂક્યા છે.
હાલ રાજ્યના 5 ડેમ હાઈ એલર્ટ પર છે:
– ધાતરવડી ડેમ (100%) – અમરેલી
– સુરજવાડી ડેમ (100%) – અમરેલી
– રાયડી ડેમ (95.24%) – અમરેલી
– ધાતરવડી-II ડેમ (93.72%) – અમરેલી
– ધોળીધજા ડેમ (94.11%) – સુરેન્દ્રનગર
આ ઉપરાંત 3 ડેમ એલર્ટ પર અને 9 ડેમ વોર્નિંગ લેવલ પર છે. અમરેલીનો ધાતરવડી ડેમ અનગેટેડ હોવાને કારણે હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે.
સ્થળાંતર અને બચાવ કામગીરી તેજ
ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં 597 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે 60 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ જૂનાગઢમાંથી 297 અને ગીર સોમનાથમાંથી 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યમાં NDRFની 9 ટીમો અને SDRFની 25 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરાથી NDRFની વધુ એક ટીમ અમરેલી માટે રવાના કરવામાં આવી છે.
તંત્રે નાગરિકોને સાવચેત રહેવા અપીલ
રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વહીવટી તંત્રે નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





