મેટ્રોસિટી અમદાવાદમાં સુભાષ બ્રિજને લઈ સૌથી મોટો નિર્ણય શક્ય, તોડવાની ભલામણ

મેટ્રોસિટી અમદાવાદમાં શહેરના સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત બ્રિજોમાં ગણાતા સુભાષ બ્રિજને લઈને મોટી અપડેટ સામે આવી છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ બ્રિજ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં તૈયાર થયેલા ટેક્નિકલ રિપોર્ટમાં સુભાષ બ્રિજને સંપૂર્ણ રીતે તોડી પાડવાની ભલામણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ નિર્ણય પાછળ મુખ્ય કારણ તરીકે બ્રિજની વધતી ઉંમર, જૂની ટેક્નોલોજી અને વર્ષોથી સતત વધતું ટ્રાફિક ભારણ દર્શાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ગત 4 ડિસેમ્બરે સુભાષ બ્રિજના એક સ્પાનમાં તિરાડ પડવાની અને ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈ તંત્રએ તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરી દેતા શહેરની ટ્રાફિક વ્યવસ્થા પર વ્યાપક અસર પડી હતી.

આ ઘટનાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજની હાલતની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ માટે વિવિધ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ અને SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસેથી પણ ટેક્નિકલ ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. તમામ તપાસ બાદ 23 ડિસેમ્બરે કન્સલ્ટન્ટ એજન્સીઓએ તેમનો રિપોર્ટ AMCને સોંપ્યો હતો.

આ રિપોર્ટમાં સુભાષ બ્રિજ માટે ત્રણ વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પમાં સમગ્ર બ્રિજને તોડી પાડવાની ભલામણ છે. બીજા વિકલ્પ મુજબ ક્ષતિગ્રસ્ત સ્પાનની નીચે વધારાનો પિલ્લર ઊભો કરીને બ્રિજને મજબૂત બનાવવાનો સૂચન કરવામાં આવ્યો છે. જ્યારે ત્રીજા વિકલ્પમાં બ્રિજનું ઉપરનું સ્ટ્રક્ચર દૂર કરીને સ્ટીલ સ્ટ્રક્ચર બનાવી તેને ફરી શરૂ કરવાની વાત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નાગરિકોની સલામતી અને શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્રને પહેલો વિકલ્પ સૌથી વધુ યોગ્ય લાગ્યો છે. સુભાષ બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુનું થઈ ચૂક્યું છે અને તેની ડિઝાઈન આજના ભારે ટ્રાફિકને અનુરૂપ નથી. આવી પરિસ્થિતિમાં વારંવાર રિપેરિંગ કરતા નવા અને આધુનિક બ્રિજનું નિર્માણ વધુ વ્યાવહારિક માનવામાં આવી રહ્યું છે.

જો હાલના બ્રિજને તોડી પાડવાનો અંતિમ નિર્ણય લેવામાં આવે તો તેના સ્થાને વધુ પહોળો અને નવી ટેક્નોલોજીથી સજ્જ નવો સુભાષ બ્રિજ બનાવવામાં આવશે. નવો બ્રિજ હાલના તેમજ ભવિષ્યના ટ્રાફિક ફ્લોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવશે, જેથી શહેરની અવરજવર વધુ સુગમ બની શકે.

તથા, નવા બ્રિજના નિર્માણમાં સૌથી મોટો પડકાર સાબરમતી નદીમાં વર્ષભર ભરાયેલા પાણીનો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બાદ નદીમાં સતત પાણી રહેતું હોવાથી બ્રિજનું નિર્માણ ટેક્નિકલ રીતે વધુ મુશ્કેલ બનશે. સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર પ્રક્રિયામાં દોઢથી બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.

હાલ સમગ્ર મામલે AMC દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવવાનો બાકી છે, પરંતુ સુભાષ બ્રિજને લઈને અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા ફેરફારની તૈયારી શરૂ થઈ ગઈ હોવાનું સ્પષ્ટ થાય છે.

  • Related Posts

    ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

    ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા…

    Stock Market Highlights: શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થીતી

    વિશ્વમાં ભારે તણાવ વચ્ચે, બુધવારે સ્થાનિક શેરબજાર વધારા સાથે બંધ થયું. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 633.29 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 76,704.13 પર બંધ થયો. તે જ સમયે, NSE નિફ્ટી પણ…