RTIની અવગણના ભારે પડી: PI અને મામલતદારને રાજ્ય માહિતી આયોગનો 10-10 હજારનો દંડ

– રાજ્ય માહિતી આયોગની લાલ આંખ: નિયત સમયમાં દંડ નહીં ભરે તો પગારમાંથી રકમ વસૂલવાનો કડક આદેશ; વહીવટીતંત્રના લાપરવાહ અધિકારીઓ સામે દાખલો બેસાડતી કાર્યવાહી

પંકજ મકવાણા – વડોદરા/સાવલી: માહિતીનો અધિકાર (RTI) કાયદા હેઠળ માંગવામાં આવેલી વિગતો સમયસર અને યોગ્ય રીતે ન આપનારા બે સરકારી અધિકારીઓ સામે ગુજરાત રાજ્ય માહિતી આયોગે કડક વલણ અપનાવ્યું છે. સાવલી તાલુકા સાથે સંકળાયેલા બે અલગ-અલગ કેસોમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને તત્કાલીન મામલતદારને રૂ.10,000-10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે દંડની રકમ નિયત સમયમર્યાદામાં નહીં ભરાય તો તે સંબંધિત અધિકારીઓના પગારમાંથી વસૂલ કરવામાં આવશે.

PIએ બહાના બતાવ્યા, આયોગે ગુનાહિત બેદરકારી ગણાવી:
પ્રથમ કેસ ભાદરવા પોલીસ મથકનો છે, જેમાં RTI અરજદાર દ્વારા તત્કાલીન PI એ.ઓ. ભરવાડની ચેમ્બરના CCTV ફૂટેજની માહિતી માંગવામાં આવી હતી. માહિતી આપવાને બદલે ગુપ્તતાનો મુદ્દો અને બાદમાં CCTVમાં ટેકનિકલ ખામી હોવાના કારણો રજૂ કરાયા હતા. રાજ્ય માહિતી આયોગે આ દલીલોને અસ્વીકાર કરીને જાહેર માહિતી અધિકારી તરીકેની ફરજમાં ગંભીર બેદરકારી ગણાવી હતી. હાલ વેજલપુર પોલીસ મથકે ફરજ બજાવતા એ.ઓ. ભરવાડને આ મામલે રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

મામલતદારે ગેસ એજન્સીની વિગતો ન આપી:
બીજો કેસ સાવલીના તત્કાલીન મામલતદાર જીગ્નેશ પટેલ સાથે જોડાયેલો છે. એક નાગરિકે HP ગેસ એજન્સી સંબંધિત ગ્રાહક વિગતો અંગે માહિતી માગી હતી. પ્રથમ અપીલ બાદ પણ સંતોષકારક જવાબ ન મળતાં મામલો રાજ્ય માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન આયોગે નોંધ્યું કે RTI કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પરિણામે મામલતદાર જીગ્નેશ પટેલને પણ રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજ્ય માહિતી આયોગના આ નિર્ણયને પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સાથે જ RTI અરજીઓ પ્રત્યે બેદરકારી દાખવનારા અધિકારીઓ માટે આ ચુકાદો ચેતવણીરૂપ અને દાખલારૂપ બની શકે છે.

 

 

 

  • Related Posts

    શ્રીડુંગરગઢ નજીક કાર-ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 6 લોકોના મોત, યુવતી ગંભીર

    રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં સોમવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શ્રીડુંગરગઢ નજીક નેશનલ હાઈવે પર સીઝરાલ હોટલ પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલી સામસામેની ભીષણ ટક્કરમાં 6 લોકોના મોત થયા…

    પુરુષોત્તમ માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ, 30 વર્ષ બાદ મળ્યો શુભ અવસર; જાણો પૂજા-દાનનું મહત્ત્વ

    હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. પિતૃ તર્પણ, દાન, સ્નાન અને ભગવાનની ઉપાસના માટે અમાસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ…