પુરુષોત્તમ માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ, 30 વર્ષ બાદ મળ્યો શુભ અવસર; જાણો પૂજા-દાનનું મહત્ત્વ

હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. પિતૃ તર્પણ, દાન, સ્નાન અને ભગવાનની ઉપાસના માટે અમાસને અત્યંત શુભ માનવામાં આવે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ (અધિક માસ) દરમિયાન આવતી સોમવતી અમાસનું મહત્વ અનેકગણું વધી ગયું છે, કારણ કે લગભગ 30 વર્ષ બાદ અધિક માસમાં સોમવતી અમાસનો દુર્લભ સંયોગ સર્જાયો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની આરાધના કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે.

ક્યારે છે સોમવતી અમાસ?
હિન્દુ પંચાંગ મુજબ જેઠ અધિક માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ 14 જૂને બપોરે 12:22 વાગ્યે શરૂ થઈ હતી અને 15 જૂને સવારે 8:26 વાગ્યે પૂર્ણ થશે. ઉદય તિથિના આધારે સોમવતી અમાસ 15 જૂન, સોમવારના રોજ ઉજવવામાં આવશે.

બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ
ધાર્મિક ગ્રંથો અનુસાર સોમવતી અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન અને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.
– બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:18 થી 5:06 વાગ્યા સુધી
– અભિજિત મુહૂર્ત: સવારે 11:54 થી બપોરે 12:50 વાગ્યા સુધી
આ શુભ સમયમાં ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અથવા ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.

પિતૃ તર્પણ અને દાનનું મહત્ત્વ
સોમવતી અમાસના દિવસે પિતૃઓ માટે તર્પણ અને શ્રદ્ધાપૂર્વક દાન કરવાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે પિતૃઓને અર્પણ કરાયેલા જળ અને તર્પણથી તેમને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પરિવાર પર વરસે છે. આ દિવસે ચોખા, ઘઉંનો લોટ, કઠોળ, ખાંડ, મીઠાઈ, ફળો અને જરૂરિયાતમંદોને અન્નદાન કરવું શુભ માનવામાં આવે છે.

પીપળાની પૂજાથી મળે સુખ-સમૃદ્ધિ
હિન્દુ માન્યતા અનુસાર સોમવતી અમાસના દિવસે ભગવાન વિષ્ણુ પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે. તેથી પીપળાના વૃક્ષની પૂજા કરીને તેની 108 પરિક્રમા કરવાથી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાની પ્રાપ્તિ થાય છે.

મહિલાઓ માટે ખાસ મહત્વ
સોમવતી અમાસ પરિણીત મહિલાઓ માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે ઘણી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને સુખી દામ્પત્ય જીવન માટે વ્રત અને ઉપવાસ રાખે છે તથા ભગવાન શિવ-પાર્વતીની વિશેષ આરાધના કરે છે.

આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ દિવસ
ધાર્મિક વિદ્વાનોના જણાવ્યા અનુસાર પુરુષોત્તમ માસમાં આવતી સોમવતી અમાસ પાપક્ષય, પિતૃ આશીર્વાદ, દાન-પુણ્ય અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. 30 વર્ષ બાદ સર્જાયેલા આ દુર્લભ સંયોગને કારણે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

Disclaimer: આ લેખમાં ધર્મ, શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર સંબંધિત જાણકારી વિવિધ સ્ત્રોતો અને લોકપ્રચલિત માન્યતાઓના આધારે રજૂ કરવામાં આવી છે. આ માહિતીનો ઉદ્દેશ માત્ર જ્ઞાનવર્ધન અને માહિતિ આપવાનો છે. આને અંતિમ સત્ય માનીને અનુસરતા પહેલાં સંબંધિત ક્ષેત્રના જાણકારોની સલાહ અવશ્ય લેવી.

 

 

 

  • Related Posts

    LRD લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ: 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો હાજર, OMR શીટ ઓનલાઈન મળશે

    ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા સફળતાપૂર્વક…

    ભારતમાં મેમરી ચિપ ઉદ્યોગને મળશે નવી ગતિ! અનેક કંપનીઓ રોકાણ માટે તૈયાર

    ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટરની વધતી માંગ વચ્ચે મેમરી ચિપ ઉત્પાદન ક્ષેત્રમાં મોટા રોકાણની સંભાવનાઓ ઊભી થઈ રહી છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત…