ઉજ્જવલા યોજના લાભાર્થીઓને ઝટકો: હવે વર્ષમાં માત્ર 4 સબસિડીવાળા LPG સિલિન્ડર મળશે

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ મળતા સબસિડીવાળા LPG સિલિન્ડરની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. અગાઉ લાભાર્થીઓને વર્ષમાં 9 સબસિડીવાળા સિલિન્ડર મળતા હતા, પરંતુ હવે આ મર્યાદા ઘટાડીને માત્ર 4 સિલિન્ડર કરી દેવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણય લાભાર્થી પરિવારોના સરેરાશ વાર્ષિક LPG વપરાશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મે 2016માં શરૂ કરાયેલી ઉજ્જવલા યોજનાનો હેતુ ગરીબ પરિવારોની મહિલાઓને ડિપોઝિટ વિના મફત LPG કનેક્શન ઉપલબ્ધ કરાવવાનો હતો. શરૂઆતમાં યોજનાના લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા 14.2 કિલોગ્રામના સિલિન્ડર મળતા હતા. ત્યારબાદ આ સંખ્યા ઘટાડીને 9 કરવામાં આવી હતી અને હવે તેને વધુ ઘટાડીને માત્ર 4 સિલિન્ડર સુધી મર્યાદિત કરવામાં આવી છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રવીણ મલ ખનૂજાએ જણાવ્યું હતું કે ઉજ્જવલા લાભાર્થીઓને મળતી ₹300 પ્રતિ સિલિન્ડરની સબસિડી યથાવત રહેશે. આ સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જોકે હવે સબસિડીનો લાભ વર્ષ દરમિયાન માત્ર ચાર રિફિલ સુધી જ મળશે.

આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઘરેલુ LPGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરના ભાવવધારા બાદ દિલ્હીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત ₹942 સુધી પહોંચી ગઈ છે. સબસિડી બાદ ઉજ્જવલા લાભાર્થીઓને આ સિલિન્ડર ₹642માં મળશે.

સરકારનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં વધેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના ભાવમાં થયેલા વધારાને કારણે સપ્લાય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં એક LPG સિલિન્ડરની પડતર કિંમત ₹1,600થી વધુ છે, જ્યારે તે ગ્રાહકોને તેના કરતાં ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના કારણે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર ભારે આર્થિક બોજ પડી રહ્યો છે.

સરકારના આ નિર્ણયથી ઉજ્જવલા યોજનાના કરોડો લાભાર્થી પરિવારોને અસર થવાની શક્યતા છે. ખાસ કરીને એવા પરિવારો માટે કે જેઓ વર્ષ દરમિયાન ચારથી વધુ LPG સિલિન્ડરનો ઉપયોગ કરે છે, તેમના ઘરેલુ ખર્ચમાં વધારો થઈ શકે છે. LPGના વધતા ભાવ અને સબસિડીવાળા સિલિન્ડરની ઘટતી સંખ્યા વચ્ચે આ નિર્ણય સામાન્ય પરિવારો માટે ચિંતાનો વિષય બની શકે છે.

 

 

 

  • Related Posts

    ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

    ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…

    કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

    ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…