વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં અમદાવાદ સાયન્સ સિટીનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 121મા એપિસોડમાં ગુજરાતની શાન સમાન અમદાવાદ સાયન્સ સિટીનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનએ દેશના યુવાનોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન પ્રત્યે વધી રહેલી રુચિની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આ બાબત ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. તેમણે છત્તીસગઢના દંતેવાડા જેવા વિસ્તારોમાં સ્થપાયેલા વિજ્ઞાન કેન્દ્રોની સકારાત્મક અસરની વાત કરી અને આ જ સંદર્ભમાં અમદાવાદ ખાતે આવેલ ગુજરાત સાયન્સ સિટીનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું, “હમણાં કેટલાક સમય પહેલાં મેં ગુજરાત સાયન્સ સિટીમાં પણ સાયન્સ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેલેરીઝમાંથી એ ઝલક મળે છે કે આધુનિક વિજ્ઞાનની ક્ષમતા શું છે, વિજ્ઞાન આપણા માટે કેટલું બધું કરી શકે છે. મને જાણકારી મળી છે કે આ ગેલેરીઝ અંગે ત્યાં બાળકોમાં ખૂબ જ ઉત્સાહ છે. વિજ્ઞાન અને ઇન્નૉવેશન પ્રત્યે આ વધતું આકર્ષણ, જરૂર ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે.” વડાપ્રધાનના આ શબ્દો સાયન્સ સિટીની સફળતા અને તેની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા પર મહોર સમાન છે.

અમદાવાદ સાયન્સ સિટીની સ્થાપના પાછળ સરકારની દીર્ઘદ્રષ્ટિ રહેલી છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ, સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને ખાસ કરીને યુવા પેઢીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના અદભુત વિશ્વ સાથે જોડવાના ઉદ્દેશ્યથી, 10 ઓગસ્ટ 1999ના રોજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC)ની સ્થાપના કરવામાં આવી. માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં, વર્ષ 2001-02 દરમિયાન સાયન્સ સિટીના પ્રથમ તબક્કાનો શુભારંભ થયો. આ તબક્કામાં, ભારતના સૌપ્રથમ IMAX 3D થિયેટરનું લોકાર્પણ એક મોટી સિદ્ધિ હતી, જેણે મુલાકાતીઓને વિજ્ઞાન અને પ્રકૃતિની દુનિયાનો અભૂતપૂર્વ ઇમર્સિવ અનુભવ કરાવ્યો. આ સાથે જ, હોલ ઓફ સાયન્સ અને હોલ ઓફ સ્પેસ જેવી ઇન્ટરેક્ટિવ ગેલેરીઓ, ઊર્જાના વિવિધ સ્ત્રોતો અને સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવતો એનર્જી એજ્યુકેશન પાર્ક, જીવવિજ્ઞાન અને પર્યાવરણની જટિલતાઓને સરળતાથી સમજાવતો લાઈફ સાયન્સ પાર્ક, પૃથ્વીની રચના અને કુદરતી આપત્તિઓ વિશે રોમાંચક માહિતી આપતું પ્લેનેટ અર્થ (જે હાલમાં વધુ સારા અનુભવ માટે રિનોવેશન હેઠળ છે અને જે અગાઉ 4D થિયેટરનો અનુભવ કરાવતું હતું), સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો માટે એમ્ફિથિયેટર અને મનોરંજક મ્યુઝિકલ ફાઉન્ટેન જેવી સુવિધાઓ તબક્કાવાર ઉમેરાઈ. આ પ્રારંભિક આકર્ષણોએ સાયન્સ સિટીને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે.

વૈશ્વિક સ્તરે વિજ્ઞાન કેન્દ્રો સાથે કદમ મિલાવવા અને મુલાકાતીઓને અદ્યતન અનુભવો પ્રદાન કરવાના હેતુથી, સાયન્સ સિટીના વિકાસનો બીજો તબક્કો હાથ ધરવામાં આવ્યો. 16 જુલાઈ 2021ના રોજ, ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આ નવાં આકર્ષણોનું ઉદ્ઘાટન કર્યું, જે સાયન્સ સિટીની વિકાસયાત્રામાં સુવર્ણ અક્ષરે અંકિત થયું છે.

આ બીજા તબક્કામાં, અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અને ભારતની સૌથી મોટી પબ્લિક એક્વેટિક ગેલેરીનો સમાવેશ થાય છે, જે સમુદ્રી જીવસૃષ્ટિના વૈવિધ્યપૂર્ણ અને અદભુત વિશ્વની ઝલક આપે છે. તેની સાથે જ, રોબોટિક્સ ગેલેરી, જેમાં 79 વિવિધ પ્રકારના રોબોટ્સ, તેમના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન છે, તે યુવાનોને ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરે છે. આ ઉપરાંત, 8 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો નેચર પાર્ક, સ્થાનિક વનસ્પતિઓ, બટરફ્લાય ગાર્ડન અને વિવિધ ઇકોસિસ્ટમ મોડેલ્સ દ્વારા જૈવવિવિધતા અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવે છે. આ નવાં ઉમેરણોએ સાયન્સ સિટીને એક પૂર્ણ વૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કર્યું છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, હાલમાં ત્રણ અત્યંત મહત્વપૂર્ણ ગેલેરીઓ – બ્રહ્માંડના રહસ્યો ખોલતી ‘એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’; માનવ શરીર અને જીવવિજ્ઞાનની ગહન સમજ આપતી ‘હ્યુમન એન્ડ બાયલોજીકલ સાયન્સ ગેલેરી’ અને ડિજિટલ ટેકનોલોજીની ક્રાંતિ દર્શાવતી ‘અનલિશીંગ ધ ડિજિટલ ફ્યુચર ગેલેરી’ નું નિર્માણકાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે.

સાયન્સ સિટીની સફળતા માત્ર તેના ભૌતિક આકર્ષણોમાં જ નથી, પરંતુ તેના શૈક્ષણિક અને સામાજિક પાસામાં પણ રહેલી છે. વર્ષ 2024ના આંકડા આ વાતની સાક્ષી પૂરે છે, જ્યારે 2 લાખથી વધુ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ સહિત કુલ 12 લાખથી વધુ જિજ્ઞાસુ મુલાકાતીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ એક વર્ષ દરમિયાન, વિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરવા અને STEM (સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 120થી વધુ વિવિધ કાર્યક્રમો, સેમિનાર, વર્કશોપ અને સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો સાથેનો સહયોગ સાયન્સ સિટીની કાર્યપ્રણાલીનો એક અભિન્ન ભાગ છે. આઈઆઈટી ગાંધીનગર અને માઈક્રોન જેવી અગ્રણી સંસ્થાઓના સહયોગથી 90થી વધુ STEM વર્કશોપ્સનું આયોજન કરાયું છે, જેમાં 125 શાળાઓના 7000થી વધુ વિદ્યાર્થીઓ અને 370થી વધુ શિક્ષકોને રોબોટિક્સ, કોડિંગ, 3D પ્રિન્ટીંગ, એસ્ટ્રોનોમી જેવા વિષયો પર તાલીમ અને પ્રાયોગિક જ્ઞાન મળ્યું છે.

આ પણ વાંચો: ‘પહેલગામના પીડિતોને ન્યાય મળશે…’, PM મોદીએ ફરી આતંકવાદ સામે કાર્યવાહીની આપી ખાતરી

આ ઉપરાંત, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ પણ ગેલેરીઓના વિકાસ અને શૈક્ષણિક કાર્યક્રમોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે.

વડાપ્રધાન મોદી દ્વારા ‘મન કી બાત’ જેવા રાષ્ટ્રીય મંચ પરથી અમદાવાદ સાયન્સ સિટીનો ઉલ્લેખ એ માત્ર ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશના વિજ્ઞાન શિક્ષણ અને સંચાર સાથે જોડાયેલા લોકો માટે ગૌરવ અને પ્રોત્સાહનની વાત છે. તે સાબિત કરે છે કે સાયન્સ સિટી તેના સ્થાપનાના ઉદ્દેશ્યોને સાર્થક કરતાં, ભારતના યુવાનોમાં વૈજ્ઞાનિક ચેતના જગાડવામાં અને તેમને ભવિષ્યના ઇનોવેટર્સ બનવા માટે પ્રેરિત કરવામાં સફળ રહ્યું છે. આ ઉલ્લેખ સાયન્સ સિટીની સમગ્ર ટીમને ભવિષ્યમાં વધુ ઉત્સાહ સાથે કાર્ય કરવા અને વિજ્ઞાનની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવા માટે પ્રેરણા આપશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

જનરલ નરવણેનું પબ્લીશ ન થયેલ પુસ્તક રાહુલ ગાંધી સુધી કેવી રીતે પહોંચ્યું? ઉઠયા અનેક સવાલો

રાહુલ ગાંધીએ જનરલ એમએમ નરવણેનું અપ્રકાશિત પુસ્તક કેવી રીતે મેળવ્યું? આ પ્રશ્ન 2026 માં રાજકારણ અને મીડિયામાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. ભૂતપૂર્વ આર્મી ચીફનું સંસ્મરણ, “ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની”,…

અંક જ્યોતિષ/08 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *