પદ્મ પુરસ્કાર 2026: અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, રોહિત શર્માને પદ્મશ્રી; 65 હસ્તીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

દેશની સેવા, કલા, રમતગમત, સાહિત્ય અને વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારી પ્રતિભાઓને સન્માનિત કરવા માટે મંગળવારે રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં પદ્મ પુરસ્કારોના બીજા તબક્કાનો ભવ્ય સમારોહ યોજાયો હતો. દ્રૌપદી મુર્મુએ પોતાના હસ્તે 65 પ્રતિષ્ઠિત હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોથી નવાજ્યા હતા.

આ સમારોહમાં 2 પદ્મવિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રી પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી સહિત કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

કુલ 131 હસ્તીઓની થઈ પસંદગી
આ વર્ષે દેશભરમાંથી કુલ 131 વ્યક્તિઓને પદ્મ પુરસ્કારો માટે પસંદ કરવામાં આવ્યા છે. અગાઉ યોજાયેલા પ્રથમ તબક્કાના સમારોહમાં હરમનપ્રીત કૌર અને ધર્મેન્દ્ર સહિત 66 હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કેટી થોમસ અને પી. નારાયણનને પદ્મવિભૂષણ
દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી પૂર્વ સુપ્રીમ કોર્ટના જજ કે. ટી. થોમસને જાહેર જીવનમાં નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વરિષ્ઠ પત્રકાર પી. નારાયણનને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ બદલ પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

અલ્કા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, રોહિત શર્માને પદ્મશ્રી
મનોરંજન અને રમતગમત ક્ષેત્રના અનેક જાણીતા ચહેરાઓ પણ આ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિકને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એવોર્ડ સ્વીકારતા પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા, જે ક્ષણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હતી. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને રમતગમત ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉપરાંત દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા મામૂટીને પણ પદ્મ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

વિજય અમૃતરાજ અને શિબુ સોરેનનું સન્માન
ભારતના ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર વિજય અમૃતરાજને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના ખેલજીવન દરમિયાન 16 એટીપી ટાઇટલ જીત્યા હતા અને લાંબા સમય સુધી એશિયાના નંબર-1 ખેલાડી તરીકે સ્થાન જાળવી રાખ્યું હતું. જ્યારે શિબુ સોરેનને જાહેર જીવન અને જનસેવામાં તેમના યોગદાન બદલ મરણોપરાંત પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

લોકકલા અને સંસ્કૃતિના સંરક્ષકોને વિશેષ સન્માન
આ વર્ષની પદ્મ પુરસ્કાર યાદીમાં દેશના અંતરિયાળ વિસ્તારોમાં લોકકલા અને સંસ્કૃતિને જીવંત રાખનારા કલાકારોને પણ વિશેષ સ્થાન મળ્યું છે.

– નાગાલેન્ડના લોકકલા સંવર્ધક ગુરુ સંગ્રુસાંગ પોંગેનરને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા છ દાયકાથી ‘આઓ નાગા’ લોકકલાના જતન અને પ્રચાર માટે કાર્યરત છે.

– ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારી મંગળા કપૂરને પણ પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. તેમણે સંગીત શિક્ષણ, સંશોધન અને પ્રદર્શન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે.

– તે ઉપરાંત સીમાંચલ પાત્રાને ઓડિશાની પ્રાચીન ‘પ્રહલાદ નાટક’ પરંપરાના સંવર્ધન માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઓમ બિરલાના ચરણ સ્પર્શ કર્યા હતા, જે દ્રશ્યે સમગ્ર દરબાર હોલમાં હાજર મહાનુભાવોને ભાવવિભોર કરી દીધા હતા.

દેશની પ્રતિભાઓને મળ્યું ગૌરવપૂર્ણ સન્માન
પદ્મ પુરસ્કારો ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાં સ્થાન ધરાવે છે. દર વર્ષે વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપનારી વ્યક્તિઓને આ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષની યાદીમાં રમતગમત, સંગીત, સાહિત્ય, પત્રકારત્વ, જનસેવા અને લોકસંસ્કૃતિ સાથે જોડાયેલા અનેક પ્રતિભાશાળી લોકોનો સમાવેશ થતાં દેશભરમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

 

 

 

  • Related Posts

    ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ : પત્ની સહિત 9 આરોપીઓ દોષિત, જાણો સમગ્ર મામલો

    નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો, ધમકી અને ખંડણી માંગવાના વર્ષ 2023ના ચર્ચિત કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચૈતર વસાવા, તેમની પત્ની સહિત…

    26થી 28 જૂન સુધી સતત 3 દિવસ બેંકો રહી શકે છે બંધ, મહત્વના કામ સમયસર પૂર્ણ કરી લો

    જો તમે નજીકના દિવસોમાં બેંકમાં જઈને પૈસા જમા કરાવવા, ચેક ક્લિયર કરાવવા, ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવા અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ બેંકિંગ કામ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા…