બિહારના કિશનગંજ જિલ્લામાં આવેલા ઠાકુરગંજ રેલ્વે સ્ટેશન પર એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેમાં ટ્રેનના લોકો પાયલટે પોતાની ડ્યુટી પૂર્ણ થતાં ટ્રેન આગળ ચલાવવા ઈનકાર કરી દીધો અને ટ્રેનને પ્લેટફોર્મ પર જ ઉભી રાખી દીધી. આ ઘટનાને કારણે સેંકડો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
માલદા થી સિલિગુડી જતી DMU ટ્રેન નંબર 75719 બપોરે લગભગ ૨:૫૨ વાગ્યે ઠાકુરગંજ સ્ટેશન પર પહોંચી હતી. ટ્રેન પહેલેથી જ લગભગ ૩ કલાક મોડે ચાલી રહી હતી. ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારબાદ લોકો પાયલટે અચાનક જાહેરાત કરી કે તેની ૯ કલાકની ડ્યુટી પૂર્ણ થઈ ગઈ છે અને હવે તે ટ્રેન આગળ નહીં ચલાવે. ત્યારબાદ તેણે પોતાનો સામાન લઈને ટ્રેનમાંથી ઉતરીને રવાના થઈ ગયો.
આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર વેપારીઓ, મજૂરો, મહિલાઓ અને નાના બાળકો સાથેના પરિવારો સહિત અનેક મુસાફરો પ્લેટફોર્મ પર ફસાઈ ગયા હતા. ઉકળાટભરી ગરમીમાં મુસાફરોને લગભગ ૩ કલાક સુધી રાહ જોવી પડી, જેના કારણે ભારે રોષ જોવા મળ્યો હતો.
સ્ટેશન માસ્ટર અને ટ્રેનના ગાર્ડે લોકો પાયલટને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વિનંતી કરી કે મુસાફરોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ટ્રેનને ગંતવ્ય સુધી લઈ જવામાં સહકાર આપે. પરંતુ પાયલટ પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને રેલ્વેના નિયમોનો હવાલો આપતા જણાવ્યું કે ડ્યુટી સમય પૂર્ણ થયા પછી તે ટ્રેન ચલાવી શકતો નથી અને મુસાફરોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરી શકતો નથી.
ઠાકુરગંજ સ્ટેશન પર તે સમયે બીજો ડ્રાઈવર ઉપલબ્ધ ન હોવાથી સ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ હતી. અંતે સિલિગુડીમાંથી સ્પેશિયલ રીતે બીજા લોકો પાયલટને બોલાવવામાં આવ્યા બાદ જ ટ્રેનને આગળ વધારી શકાયી હતી.
આ ઘટનાના કારણે માત્ર મુસાફરો જ નહીં પરંતુ અન્ય ટ્રેનોના સમયપત્રક પર પણ અસર પડી હતી. ઘણા મુસાફરો તો કંટાળીને પાછળથી આવતી બીજી ટ્રેનોમાં જવાની મજબૂરીમાં જોવા મળ્યા હતા.
રેલ્વેના નિયમો મુજબ ડ્રાઈવરને પૂરતો આરામ આપવો જરૂરી છે, પરંતુ મધ્યમાં ટ્રેન ઉભી રાખીને મુસાફરોને મુશ્કેલીમાં મૂકવાની આ ઘટનાએ રેલ્વે મેનેજમેન્ટ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





