સીરિયાની રાજધાની દમાસ્કસના કાફેમાં ભીષણ વિસ્ફોટ, 9નાં મોત અને 20 ઘાયલ; સુરક્ષા એજન્સીઓ તપાસમાં

સીરિયાની રાજધાની દમાસ્કસમાં ગુરુવારે એક કાફેમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું સીરિયાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. વિસ્ફોટ શહેરના મુખ્ય કોર્ટ સંકુલ નજીક આવેલા કાફેમાં થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરકારી મીડિયા અનુસાર, ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો
વિસ્ફોટ બાદ સુરક્ષા દળો અને તપાસ એજન્સીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈપણ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. દમાસ્કસના ગવર્નર માહેર ઇદલીબીએ જણાવ્યું કે ગૃહ મંત્રાલય પ્રાથમિક તપાસના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરશે. તેમના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં વિસ્ફોટ માટે ઉપયોગમાં લેવાયેલું વિસ્ફોટક ઉપકરણ જૂના પ્રકારનું હોવાનું જણાય છે. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી.

કાફેમાં હાજર હતા અનેક વકીલો
સ્થાનિક મીડિયા મુજબ, વિસ્ફોટ જે કાફેમાં થયો ત્યાં નજીકની કોર્ટમાં કામ કરતા અનેક વકીલો નિયમિત આવતા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરતા પોલીસકર્મીઓ અને રાહતકર્મીઓ જોવા મળે છે. નજીકના એક વેપારીએ જણાવ્યું કે વિસ્ફોટનો જોરદાર અવાજ સાંભળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસ આવે તે પહેલાં ઘાયલોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં મદદ કરી હતી.

સીરિયામાં સુરક્ષાને લઈને પડકાર યથાવત
ડિસેમ્બર 2024માં સત્તા પરિવર્તન બાદ સીરિયાની નવી સરકારે દેશમાં સુરક્ષા મજબૂત બનાવવા અને ઉગ્રવાદી સંગઠનો સામે કાર્યવાહી તેજ કરી છે. રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાએ તમામ ધર્મો અને સમુદાયોની સુરક્ષાની ખાતરી આપવાનો દાવો કર્યો છે. તેમ છતાં દેશમાં સુરક્ષાને લઈને પડકારો યથાવત છે. છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા દળો દ્વારા ઉગ્રવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સમયાંતરે થતી હિંસક ઘટનાઓ હજુ પણ ચિંતાનો વિષય બની રહી છે. હાલ વિસ્ફોટના ચોક્કસ કારણ અને જવાબદારો અંગે તપાસ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ વધુ માહિતી જાહેર કરવામાં આવશે.

 

 

 

 

  • Related Posts

    EPFOના 7 કરોડ ખાતાધારકો માટે સારા સમાચાર, 3 જુલાઈથી PF ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ

    કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે રાહતના સમાચાર છે. EPFO દ્વારા 3 જુલાઈથી કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આગામી લગભગ 15…

    વોટ્સએપ બાદ હવે ટેલિગ્રામ અને સિગ્નલને પણ કેન્દ્ર સરકારની નોટિસ, યુઝરનેમ ફીચર અંગે માંગ્યો ખુલાસો

    વોટ્સએપના પ્રસ્તાવિત યુઝરનેમ ફીચર અંગે નોટિસ મોકલ્યાના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે હવે ટેલિગ્રામ અને સિગ્નલને પણ નોટિસ ફટકારી છે. માહિતી ટેકનોલોજી મંત્રાલયે બંને મેસેજિંગ પ્લેટફોર્મને યુઝરનેમ ફીચર અને તેના…