ભારત માટે ઉર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સફળતા સામે આવી છે. સરકારી કંપની Oil India Limited (OIL)ને અંદમાનના દરિયાઈ વિસ્તારમાં કુદરતી ગેસની વધુ એક મોટી શોધ મળી છે. કંપની દ્વારા ખોદવામાં આવેલા નવા કૂવામાં ગેસની હાજરીની પુષ્ટિ થતાં દેશના સ્થાનિક ગેસ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને ભવિષ્યમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે.
અંદમાનના દરિયામાં બીજી મોટી સફળતા
ઓઈલ ઈન્ડિયાએ જાહેર કરેલી માહિતી અનુસાર અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં ખોદવામાં આવેલા ‘વિજયપુરમ-3’ કૂવામાં કુદરતી ગેસ મળી આવ્યો છે. આ બ્લોકમાં ગેસ અને હાઇડ્રોકાર્બનની હાજરી દર્શાવતો આ બીજો સફળ કૂવો છે. કંપનીનું માનવું છે કે આ વિસ્તાર ભવિષ્યમાં ભારત માટે એક મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્ર બની શકે છે.
અંદમાન કિનારાથી 15 કિમી દૂર મળી સફળતા
‘વિજયપુરમ-3’ કૂવો અંદમાન દ્વીપસમૂહના પૂર્વીય કિનારાથી અંદાજે 15 કિલોમીટર દૂર સ્થિત છે. આ કૂવો લગભગ 355 મીટર ઊંડા દરિયાઈ વિસ્તારમાં આવેલો છે અને તેને OALP હેઠળ વિકસાવવામાં આવી રહેલા AN-OSHP-2018/1 ઓફશોર બ્લોકમાં ડ્રિલ કરવામાં આવ્યો છે.
પરીક્ષણ દરમિયાન ગેસની હાજરીની પુષ્ટિ
કંપનીના જણાવ્યા મુજબ આશરે 1,900 મીટરથી વધુ ઊંડાઈએ આવેલા ઈઓસીન સ્તરમાં કરવામાં આવેલા પ્રારંભિક પરીક્ષણ દરમિયાન સતત ગેસ ફ્લો જોવા મળ્યો હતો. ફ્લેરિંગ પ્રક્રિયા દરમિયાન કુદરતી ગેસની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ હતી. ડ્રિલિંગ બાદ કૂવામાં દબાણ ઝડપથી વધ્યું હતું અને ગેસનું ઉત્પાદન શરૂ થયું હતું. હાલમાં ગેસના નમૂનાઓનું પરીક્ષણ ચાલી રહ્યું છે, જેના આધારે તેની ગુણવત્તા અને ઊર્જા ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
પેટ્રોલિયમ મંત્રીએ આપી માહિતી
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી Hardeep Singh Puriએ પણ સોશિયલ મીડિયા પર આ સફળતાની માહિતી શેર કરી હતી. તેમણે આ શોધને ભારતની ઉર્જા આત્મનિર્ભરતા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
અગાઉ પણ મળ્યા હતા ગેસના સંકેત
આ પહેલા સપ્ટેમ્બર 2025માં ઓઈલ ઈન્ડિયાએ ‘વિજયપુરમ-2’ કૂવામાં પણ કુદરતી ગેસ મળ્યાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ બ્લોકમાં ત્રણ કૂવાઓનું ડ્રિલિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી બે કૂવાઓમાં હાઇડ્રોકાર્બનની હાજરી મળી આવી છે. આ સફળતાઓ દર્શાવે છે કે અંદમાનના દરિયાઈ વિસ્તારમાં મોટા પાયે તેલ અને ગેસના ભંડાર હોવાની સંભાવના મજબૂત બની રહી છે.
હવે થશે 3D સિસ્મિક સર્વેના ડેટાનું વિશ્લેષણ
ગયા વર્ષે મળેલી સફળતા બાદ કંપનીએ વિસ્તારનું વધુ મૂલ્યાંકન શરૂ કર્યું હતું. આ પ્રક્રિયા હેઠળ વધારાના 600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 3D સિસ્મિક સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. હાલમાં સર્વેમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. ડેટા પ્રોસેસિંગ પૂર્ણ થયા બાદ કંપની નવા કૂવાઓ ખોદવાની કામગીરી શરૂ કરી શકે છે.
ભારતની ઉર્જા સુરક્ષાને મળશે મોટો ફાયદો
નિષ્ણાતોના મતે અંદમાનમાં ગેસની આ શોધ ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો ભવિષ્યમાં અહીં વ્યાપારી ધોરણે મોટા ગેસ ભંડારની પુષ્ટિ થાય છે, તો ભારતની વિદેશી ગેસ આયાત પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટી શકે છે. સ્થાનિક ઉત્પાદન વધવાથી ઊર્જા ખર્ચમાં ઘટાડો, આયાત બિલમાં બચત અને ઉદ્યોગોને વધુ સ્થિર ગેસ પુરવઠો મળવાની શક્યતાઓ પણ વધશે. ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોમાં આ શોધ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





