પ્રકૃતિ અને પત્રકારત્વનો અનોખો સંગમ: નડિયાદમાં રાજ્યનું અદ્ભુત ‘પત્રકાર વન’ આકાર પામ્યું

પંકજ મકવાણા – અમદાવાદ/નડિયાદ:
પત્રકારત્વ સમાજને ‘શુદ્ધ વિચારો’ આપે છે અને પ્રકૃતિ માનવજાતને ‘શુદ્ધ હવા’ આપે છે. જ્યારે આ બંનેનો સમન્વય થાય ત્યારે કેવો દિવ્ય નજારો સર્જાય, તેનો જીવતો-જાગતો પુરાવો ખેડા જિલ્લાના નડિયાદમાં જોવા મળ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના સૌપ્રથમ ‘પત્રકાર વન’ નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ખેડા જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા ‘એક પેડ મા કે નામ ૩.૦’ અભિયાન હેઠળ આ અનોખી પહેલ હાથ ધરાઈ છે, જે સમગ્ર દેશના મીડિયાકર્મીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે.

મંત્રી, વહીવટી તંત્ર અને મીડિયા જગત એક જ મંચ પર:
આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ એકઠા થયા હતા. મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મેયર મનીષ પટેલે ઉપસ્થિત રહીને આ વન લોકાર્પિત કર્યું હતું.
વહીવટી તંત્રના મજબૂત સ્તંભ સમાન ખેડા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, મ્યુનિસિપલ કમિશનર કિરણ ઝવેરી, નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેક્ટર જે.બી. દેસાઈ, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરાગભાઈએ પત્રકારો સાથે ખભેખભા મિલાવીને વૃક્ષારોપણ કર્યું હતું. આ ઉપરાંત વડોદરા ઝોનના સંયુક્ત માહિતી નિયામક હેતલ દવે પણ આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

૨૧૧ રોપાઓથી મહેકી ઉઠશે માહિતી ભવન
આ વન માત્ર નામનું નથી, પણ અહીં આયુર્વેદિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત મહત્વના એવા ૨૧૧ રોપાઓ નું વાવેતર કરાયું છે. જેમાં મુખ્યત્વે: વડ, પીપળ અને લીંબડો, આસોપાલવ, ચંપા અને બોરસલી, પેથોડીયા, પેલ્ટો, રેન્ટ્રી અને ટર્મીનલીયા, કાયેજીલીયા, બંગાળી બદામ, કપોક અને અરીઠા

“આ વૃક્ષો માત્ર વવાયા નથી, માહિતી વિભાગ દ્વારા આ તમામ ૨૧૧ રોપાઓની વૈજ્ઞાનિક ઢબે માવજત અને ઉછેર કરવાની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવી છે.”

“કલમના સન્માન માટે પ્રકૃતિનો આશરો”
કાર્યક્રમના મુખ્ય વિચારબિંદુને રજૂ કરતા નાયબ માહિતી નિયામક માનસી દેસાઈએ હૃદયસ્પર્શી વાત કહી કે, “પ્રકૃતિ ઓક્સિજન આપીને શરીર શુદ્ધ રાખે છે અને પત્રકારત્વ વૈચારિક શુદ્ધિ કરે છે. પત્રકારોની કલમની આ તાકાતને સન્માન આપવા જ અમે આ વનનું સર્જન કર્યું છે.”

આ પ્રસંગે ખેડાના વરિષ્ઠ પત્રકાર દક્ષેશ બ્રહ્મભટ્ટે તંત્રનો આભાર માનતા કહ્યું કે, પર્યાવરણ બચાવવાની આ લડાઈમાં હવે મીડિયા જગત અગ્રેસર રહીને પોતાની સામાજિક જવાબદારી નિભાવશે.

શ્રમદાનથી કાર્યક્રમ બન્યો સફળ
આ સુંદર વનને વસાવવામાં માત્ર નેતાઓ જ નહીં, પણ ખરા અર્થમાં જમીની સ્તરે કામ કરતા કર્મયોગીઓનો પરસેવો પણ ભળ્યો છે. ૨૮ એનસીસી બટાલિયનના સી.ઓ. અજીતકુમાર ઝાલાના માર્ગદર્શન હેઠળ એનસીસી કેડેટ્સ, ફોરેસ્ટ વિભાગ અને નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓએ ભારે શ્રમદાન કરીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો.

વિશેષ ટિપ્પણી – પત્રકારને અર્પણ: લોકશાહીનો ચોથો સ્તંભ જ્યારે પર્યાવરણનું રક્ષક બને, ત્યારે જ સાચા અર્થમાં હરિયાળી ક્રાંતિ શક્ય બને છે. નડિયાદનું આ ‘પત્રકાર વન’ આવનારી પેઢીઓ માટે શુદ્ધ હવાનો સ્ત્રોત બની રહેશે.

 

 

 

  • Related Posts

    રીબડા અમિત ખુંટ કેસ સાથે સંકળાયેલી પૂજા રાજગોરનું માર્ગ અકસ્માતમાં મોત, પરિવારના ચાર સભ્યો ઘાયલ

    રાજકોટ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે શ્રીનાથગઢ-મોવિયા રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં અમિત ખુંટ આપઘાત કેસ સાથે ચર્ચામાં રહેલી પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પાંચ વર્ષની બાળકી…

    કૂચબિહાર બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ તાત્કાલિક કાર્યવાહી કરી સ્થિતિ કાબૂમાં લીધી

    ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી એકવાર સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાના મેખલીગંજ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકોએ ભારતીય સરહદ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી…