સોશિયલ મીડિયા પર છવાઈ ‘કોકરોચ જનતા પાર્ટી’, જાણો કોણ છે તેનો સ્થાપક અને શું છે એજન્ડા

સોશિયલ મીડિયા પર હાલ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામની વર્ચ્યુઅલ પાર્ટી ભારે ચર્ચામાં છે. ખાસ કરીને Instagram પર આ પાર્ટીએ ટૂંકા સમયમાં જ 1 કરોડથી વધુ ફોલોઅર્સ મેળવીને યુવાનોમાં ભારે લોકપ્રિયતા મેળવી છે.

કોણ છે કોકરોચ જનતા પાર્ટીનો સ્થાપક?
કોકરોચ જનતા પાર્ટીની શરૂઆત પુણેના રહેવાસી અભિજીત દીપકે દ્વારા કરવામાં આવી છે. અભિજીતે પુણેમાંથી જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR) માં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. અભિજીત વર્ષ 2020થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને સોશિયલ મીડિયા તેમજ ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી. ખાસ કરીને 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન મીમ આધારિત ડિજિટલ કેમ્પેઇનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન હોવાનું માનવામાં આવે છે.

CJIની ટિપ્પણી બાદ ચર્ચામાં આવી પાર્ટી
કહેવાય છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ Surya Kantની એક ટિપ્પણી બાદ આ પાર્ટી ચર્ચામાં આવી હતી. જોકે બાદમાં તેમની ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હોવાનું પણ સ્પષ્ટ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે કોકરોચ જનતા પાર્ટી કોઈ સત્તાવાર રાજકીય પક્ષ નથી અને તેની નોંધણી Election Commission of India પાસે કરવામાં આવી નથી.

શું છે કોકરોચ જનતા પાર્ટીનો એજન્ડા?
પાર્ટી પોતાની પોસ્ટ્સમાં હાસ્ય અને મીમ્સ દ્વારા યુવાનોના મુદ્દાઓને અવાજ આપી રહી છે. પાર્ટીના જણાવ્યા મુજબ સભ્ય બનવા માટે વ્યક્તિ “બેરોજગાર, હંમેશા ઓનલાઈન, પ્રોફેશનલી બર્નઆઉટ અને આળસુ” હોવો જોઈએ. જોકે આ મજાક પાછળ ગંભીર મુદ્દાઓ પણ છુપાયેલા છે. કોકરોચ જનતા પાર્ટી યુવા બેરોજગારી, પરીક્ષા પેપર લીક, સિસ્ટમમાં પારદર્શિતા અને રાજકીય પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓ ઉઠાવી રહી છે. પાર્ટીએ ટૂંક સમયમાં જનરેશન-Z વર્ચ્યુઅલ સમિટ યોજવાની પણ જાહેરાત કરી છે.

મેનિફેસ્ટોમાં શું શું માંગણીઓ?
પાર્ટીના ઓનલાઈન મેનિફેસ્ટોમાં કેટલાક મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:
– નિવૃત્તિ બાદ મુખ્ય ન્યાયાધીશોને રાજકીય પદોથી દૂર રાખવા
– મહિલાઓ માટે 50 ટકા અનામત
– મીડિયાની સ્વતંત્રતા
– પક્ષપલટો કરનાર નેતાઓ પર 20 વર્ષનો પ્રતિબંધ

સોશિયલ મીડિયા પર યુઝર્સ બે ભાગમાં વહેંચાયા
આ અનોખી વર્ચ્યુઅલ પાર્ટીને લઈને સોશિયલ મીડિયા યુઝર્સમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક વર્ગનું માનવું છે કે આ માત્ર “મીમ પોલિટિક્સ” છે અને સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ છે. જ્યારે બીજા વર્ગનું કહેવું છે કે લાંબા સમય બાદ કોઈ પ્લેટફોર્મ યુવાનોની ભાષામાં તેમની સમસ્યાઓ અને ચિંતાઓને અસરકારક રીતે રજૂ કરી રહ્યું છે.

 

 

 

  • Related Posts

    બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાના વિમાનને ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સલામત

    Air Indiaની દિલ્હીથી બેંગલુરુ જતી ફ્લાઈટ AI2651 સાથે બુધવારે લેન્ડિંગ દરમિયાન ‘ટેલ-સ્ટ્રાઈક’ની ઘટના બની હતી. સદભાગ્યે પાઈલટની સતર્કતા અને કુશળતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને વિમાનમાં સવાર તમામ 181…

    હજ યાત્રા દરમિયાન તણાવ અટક્યો? સાઉદી–UAEની મધ્યસ્થતાથી અમેરિકા–ઈરાન યુદ્ધ ટળ્યું હોવાના અહેવાલ

    મધ્ય-પૂર્વમાંથી આવી રહેલા અહેવાલો અનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે શક્ય મોટો સૈન્ય સંઘર્ષ અટક્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને લઈને ચર્ચા…