મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ જણાવ્યું છે કે ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થવા માટે સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. અમેરિકા દ્વારા સંભવિત નાકાબંધીના સંકેતો વચ્ચે આ નિવેદન ભારત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારતમાં ઈરાનના રાજદૂતે જણાવ્યું હતું કે ઈરાન અને ભારત વચ્ચે લાંબા સમયથી મજબૂત અને મિત્રતાપૂર્ણ સંબંધો છે. આ કારણે ભારતીય જહાજોને હોર્મુઝ જેવા વ્યસ્ત અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પરથી પસાર થવામાં કોઈ અવરોધ નહીં આવે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંથી એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠાનો લગભગ 20 ટકા હિસ્સો પસાર થાય છે. ભારત માટે આ માર્ગનું મહત્વ વધુ છે, કારણ કે દેશના લગભગ 40 ટકા ક્રૂડ ઓઇલનો પુરવઠો આ માર્ગ પરથી આવે છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવના કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠા અને ભાવ અંગે ચિંતા વધી રહી છે. શિપિંગમાં વિક્ષેપના સમાચાર વચ્ચે ઘણા દેશો માટે આ પરિસ્થિતિ પડકારજનક બની છે. આવી સ્થિતિમાં ઈરાન તરફથી મળેલો ભરોસો ભારત માટે મહત્વપૂર્ણ સલામતી કવચ સાબિત થઈ શકે છે.
તે ઉપરાંત, અમેરિકા દ્વારા ઈરાનના તેલ પર લાગેલા કેટલાક પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપવામાં આવી છે. જેના પરિણામે ભારત ફરીથી ઈરાન પાસેથી તેલ ખરીદી શરૂ કરી શકે છે. અહેવાલો મુજબ, સાત વર્ષ પછી આ અઠવાડિયે ભારતને ઈરાનથી ક્રૂડ ઓઇલનો પહેલો શિપમેન્ટ મળવાની શક્યતા છે.
આ પરિસ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું અને સુરક્ષિત રહેવું ભારત માટે અત્યંત જરૂરી બની ગયું છે. ઈરાનનો આ ભરોસો વૈશ્વિક તણાવ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીને પણ દર્શાવે છે.






