ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને શરૂ થયેલા આંદોલન વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગાંધીનગર કૂચ કરી રહેલા ખેડૂતો અને રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી હંમેશા લોકોના હિતમાં ઉદાર મનથી વિચારે છે અને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે પણ સંવેદનશીલ અભિગમ ધરાવે છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે. સેક્ટર-30 સર્કલ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસે ત્રણ શંકાસ્પદ ટ્રેક્ટર ચાલકોને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી અને ગાંધીનગરમાં પ્રવેશતા ટ્રેક્ટરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.
મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જાહેર મંચ પરથી સંબોધન કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, “મુખ્યમંત્રી હંમેશા દરેક લોકો માટે ઉદાર મનથી વિચારે છે. ખેડૂતો માટે પણ તેઓ સમાન રીતે ઉદાર અને સંવેદનશીલ અભિગમ ધરાવે છે. તેઓ ઘણી વખત બોલ્યા વિના જ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે કાર્ય કરે છે.”
બીજી તરફ, ગાંધીનગર તરફ આગળ વધી રહેલા ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ટ્રેક્ટર રેલીમાં કેટલાક ખેડૂતોએ કોંગ્રેસ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કોંગ્રેસ ખેડૂતોના મુદ્દાઓને રાજકીય લાભ માટે ઉપયોગમાં લઈ રહી છે અને ખેડૂતોના નામે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે.
આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે ખેડૂતો આગામી દિવસોમાં નવી રણનીતિ ઘડશે. ખેડૂત આગેવાનો દ્વારા અલગથી સભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઓગણજ ટોલનાકા નજીક પોલીસે કેટલાક ખેડૂતોની અટકાયત કરતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. અટકાયતના વિરોધમાં ખેડૂતો દ્વારા ટોલનાકા નજીક હોબાળો કરવામાં આવ્યો હતો.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





