ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ગરમી શિખરે પહોંચી છે. મંગળવારે અમદાવાદમાં તાપમાન 44.8 ડિગ્રી અને રાજકોટમાં 44.9 ડિગ્રી નોંધાયું હતું, જે દરમિયાન આખા રાજ્યમાં ગરમીનો કહેર અનુભવાયો. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં હવામાનમાં બદલાવ આવશે અને કેટલાક વિસ્તારોમાં આંધી-વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતો અનુસાર, એપ્રિલના અંતિમ દિવસો સુધી ગરમી યથાવત રહેશે. રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચ મે બાદ હીટવેવનું કોઈ એલર્ટ ન હોવાની શક્યતા છે.
અથ્રેયા શેટ્ટીના અંદાજ મુજબ, 2 અને 3 મેના રોજ ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતા છે. ત્યારબાદ રાજ્યના અનેક ભાગોમાં છૂટાછવાયા વરસાદ સાથે ગાજવીજ થઈ શકે છે.
અંબાલાલ પટેલના અનુસાર, 30 એપ્રિલથી 8 મે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં આંધી-વંટોળ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં પવનના તોફાનની પણ શક્યતા છે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત ઊભું થઈ શકે છે, જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળી શકે છે.
પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ, મેના પ્રથમ અઠવાડિયામાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. વધુ તાપમાનને કારણે લોકલ સિસ્ટમ સર્જાઈ શકે છે, જેના કારણે બપોર બાદ વાદળાં છવાઈ શકે છે અને હલકો વરસાદ પણ થઈ શકે છે.
હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહીને જોતા, રાજ્યના લોકોને આગામી દિવસોમાં હવામાન બદલાવ માટે સજાગ રહેવાની સલાહ આપવામાં આવી છે. ગરમીની તીવ્રતા વચ્ચે રાહત આપતો વરસાદ કેટલી અસર કરે છે તે જોવું રહશે રસપ્રદ.






