વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્ર સચિવ હારીત શુક્લા, સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક અને નાયબ સચિવ રાજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના ‘મિશન કર્મયોગી’ અભિગમને વેગ આપતા આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ પદ્ધતિને પરંપરાગત માળખામાંથી બહાર લાવી, તેમની ચોક્કસ ભૂમિકા અને જવાબદારીઓ મુજબ સક્ષમ બનાવી વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાનો છે. આગામી મે માસમાં મસૂરી ખાતે યોજાનાર રાષ્ટ્રીય સમિટની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજિત આ કાર્યશાળામાં વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવો, ખાતાના વડાઓ અને વર્ગ-1 તથા ૨ના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈને વહીવટી શાસનને વધુ સંગીન બનાવવા મંથન કર્યું હતું.
આ વર્કશોપ દરમિયાન આઠ અલગ-અલગ વર્કિંગ ગ્રુપ્સ દ્વારા એકીકૃત તાલીમ માળખું, તાલીમ સંસ્થાઓનું સુદ્રઢીકરણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ અને કેડર મુજબ સતત તાલીમ વ્યવસ્થા જેવા મહત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ મંથનમાં ખાસ કરીને આઈગોટ (iGOT) અને eHRMS જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સને સાંકળવા તથા સ્પીપા જેવી સંસ્થાઓને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ પહોંચાડતા આશા વર્કર, આંગણવાડી કાર્યકર, તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ જેવા ફ્રન્ટલાઇન કર્મચારીઓ સુધી તેમની માતૃભાષા ગુજરાતીમાં ડિજિટલ લર્નિંગના માધ્યમથી તાલીમ પહોંચાડવાના વિઝન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. કાર્યક્રમના અંતે વહીવટી સુધારા માટે તૈયાર કરવામાં આવેલું ‘એક્શન મેટ્રિક્સ’ અને તજજ્ઞોના પુરાવા આધારિત સૂચનોનો રિપોર્ટ કેપેસિટી બિલ્ડીંગ કમિશન (CBC) ને મોકલવામાં આવશે. આ પ્રયાસ ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યાંકને હાંસલ કરવા અને ગુજરાતના વહીવટી માળખાને વધુ લોકભોગ્ય તેમજ કાર્યદક્ષ બનાવવા માટે એક બ્લુપ્રિન્ટ સમાન સાબિત થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





