મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદ વચ્ચે ભારત માટે એક સકારાત્મક આર્થિક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર આવતીકાલે, 27 એપ્રિલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે હસ્તાક્ષર થવાના છે.
આ સમજૂતી દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ તથા ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટોડ મેક્લે હાજર રહેશે. બંને દેશોએ આ કરારને અંતિમ સ્વરૂપ ડિસેમ્બર 2025માં યોજાયેલી ચર્ચાઓ બાદ આપ્યું હતું.
વેપારમાં મોટો વધારો થવાનો અંદાજ
આ FTA હેઠળ બંને દેશો વચ્ચે વેપાર વધારીને બમણો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર 5 અબજ ડોલર સુધી પહોંચાડવાનો પણ ટાર્ગેટ છે.
ભારતને શું ફાયદો થશે?
– ભારતીય કંપનીઓ ન્યૂઝીલેન્ડમાં ટેક્સ વગર માલ નિકાસ કરી શકશે
– ફાર્મા અને મેડિકલ સાધનોની નિકાસમાં સરળતા આવશે
– પ્રોફેશનલ્સ માટે અસ્થાયી રોજગાર વિઝામાં વધારો થવાની શક્યતા
– ન્યૂઝીલેન્ડથી આયાત થતી લગભગ 95% પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડાશે અથવા દૂર થશે
– આ પ્રોડક્ટ્સમાં ઉન, કોલસો, વાઈન, એવોકાડો અને બ્લૂબેરી જેવી વસ્તુઓ સામેલ છે.
કૃષિ ક્ષેત્રનું રક્ષણ પણ જાળવાયું
ભારતે પોતાના ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને ડેરી, ખાદ્ય તેલ અને કેટલીક શાકભાજી જેવી વસ્તુઓને આ કરારમાંથી બહાર રાખી છે, જેથી સ્થાનિક કૃષિ ક્ષેત્રને સુરક્ષા મળી રહે.
રોકાણ અને સહકારમાં વધારો
આ સમજૂતીથી આગામી 15 વર્ષમાં ભારતમાં અંદાજે 20 અબજ ડોલર સુધીનું રોકાણ આવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ બંને દેશો વચ્ચે સેવા ક્ષેત્ર, કૃષિ અને અન્ય ઉદ્યોગોમાં સહયોગ વધવાની આશા છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276




