જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ આતંકી હુમલા અંગે નિવેદન આપતા રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમાર તેમજ સુરત શહેરના વરાછાના વતની અને હાલ મુંબઈ રહેતા શૈલેશભાઈ કળથિયાના દુઃખદ અવસાનની ખબરથી સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ ખેદજનક અને માનવતા વિરોધી ઘટનાની સમગ્ર વિશ્વના લોકો તરફથી તીવ્ર નિંદા કરવામાં આવે છે. સુરત અને ભાવનગર સાથે રાજ્યના લોકો શહીદ થયેલા પરિવારજનો પ્રત્યે ઊંડા દુઃખની લાગણી સાથે સાંત્વના પાઠવે છે.
વધુમાં રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કહ્યું કે, શહીદ શૈલેષભાઈના મૃતદેહ અને તેમના પરિજનોને રાત્રે 10 વાગ્યે સુરત હવાઈમથક પર લાવવામાં આવશે, જ્યાં આદરણીય કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલજી તથા સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી દુઃખની ઘડીમાં આ પરિવારજનોને સાંત્વના આપશે અને દુઃખની આ ઘડીમાં જોડે રહેશે.






