ગુજરાતના સાગરકાંઠા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ અને માછલીઓના પ્રજનન કાળને ધ્યાનમાં રાખીને 1 જૂનથી માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડીને તમામ માછીમારોને સૂચના આપવામાં આવી છે. જાહેરનામા મુજબ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી કુલ 61 દિવસ માટે આંતર્દેશીય અને પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન યાંત્રિક બોટો, ટ્રોલર્સ અને ઊંડા દરિયામાં જતાં જહાજોને દરિયામાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
દર વર્ષે ચોમાસા દરમિયાન લાગુ થતો આ ફિશિંગ બાન દરિયાઈ જીવસૃષ્ટિના સંવર્ધન અને માછલીઓના પ્રજનન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મોટા ભાગના માછીમારો પોતાની બોટોનું સમારકામ, જાળની મરામત તેમજ સામાજિક પ્રસંગો પૂર્ણ કરતા હોય છે. મત્સ્યોદ્યોગ વિભાગે સ્પષ્ટતા કરી છે કે પરંપરાગત રીતે રોજગાર મેળવનારા નાના માછીમારોને આ પ્રતિબંધમાંથી રાહત આપવામાં આવી છે. એન્જિન વગરની નાની હોડીઓ ચલાવતા માછીમારો અને કિનારે રહીને પરંપરાગત રીતે માછીમારી કરતા પગડિયા માછીમારો માટે આ નિયમ લાગુ નહીં પડે.
વિભાગે ચેતવણી આપી છે કે જો કોઈ બોટચાલક અથવા માછીમાર સરકારના આદેશનો ભંગ કરીને દરિયામાં જશે તો તેની સામે Gujarat Fisheries Act હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. નિયમનો ભંગ કરનારાઓ સામે દંડાત્મક પગલાં ઉપરાંત બોટ અને માછલીનો જથ્થો પણ જપ્ત કરવામાં આવી શકે છે. જૂનાગઢ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં આ નિર્ણયને લઈને માછીમારોમાં તૈયારીનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





