અમેરિકન સબમરીને શ્રીલંકન દરિયાકાંઠા પાસે ઈરાનનું જહાજ ડૂબાડ્યું, 80 લોકોના મોતની આશંકા

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષનો વ્યાપ હવે શ્રીલંકાના દરિયાકાંઠા સુધી પહોંચી ગયો છે. અમેરિકાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠા નજીક એક ઈરાની જહાજ પર સબમરીન દ્વારા ટોર્પિડો હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે જહાજ ડૂબી ગયું. આ હુમલામાં ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 32 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે.

અમેરિકન સબમરીનનો ટોર્પિડો હુમલો
અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથએ જણાવ્યું કે મંગળવારે મોડી રાત્રે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. તેમના અનુસાર, એક અમેરિકન સબમરીને આંતરરાષ્ટ્રીય જળસીમામાં રહેલા ઈરાની જહાજને નિશાન બનાવી ટોર્પિડો હુમલો કર્યો હતો. તેમણે દાવો કર્યો કે બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત ટોર્પિડો દ્વારા દુશ્મન દેશના જહાજને ડૂબાડવાની ઘટના બની છે.

શ્રીલંકાની માનવતાવાદી મદદ
શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજિથા હેરથએ જણાવ્યું કે બુધવારે વહેલી સવારે ઈરાની નેવી જહાજ “આઈરિસ દેના” તરફથી વિસ્ફોટ અંગે મદદ માટે સંદેશ મળ્યો હતો. સંદેશ મળતા જ સવારે 6 વાગ્યા સુધીમાં એક નૌકાદળનું જહાજ અને 7 વાગ્યા સુધીમાં બીજું જહાજ બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યું હતું. આ ઘટના ગાલે શહેરથી લગભગ 44 નોટિકલ માઈલ દૂર શ્રીલંકાના આર્થિક ક્ષેત્રમાં બની હતી. બચાવવામાં આવેલા 32 ક્રૂ સભ્યોને ગાલેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સંરક્ષણ સિસ્ટમ નિષ્ક્રિય કર્યા બાદ હુમલો
સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા પહેલા ઈલેક્ટ્રોમેગ્નેટિક સાધનો દ્વારા જહાજની સંરક્ષણ પ્રણાલી નિષ્ક્રિય કરવામાં આવી હતી. ત્યારબાદ બે ટોર્પિડો જહાજના મધ્ય ભાગમાં વાગતા જહાજ પાણીમાં સમાઈ ગયું. આ હુમલો અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય અભિયાન બાદ વધતા તણાવનું પરિણામ માનવામાં આવે છે. મધ્ય-પૂર્વની બહાર ઈરાની સૈન્ય પર અમેરિકાનો આ પહેલો મોટો હુમલો ગણાઈ રહ્યો છે, જે યુદ્ધના વ્યાપમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

બીજી તરફ, ઈરાને પ્રતિકારરૂપે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ પરિવહન પર અડચણો ઊભી કરી છે અને મધ્ય-પૂર્વના વિવિધ દેશો પર મિસાઈલ હુમલાઓ તેજ કર્યા છે. પરિણામે વૈશ્વિક ઊર્જા બજારમાં ચિંતા અને તણાવ વધ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ઈરાનમાં શોક અને દહેશત: ખામેનીના અંતિમ સંસ્કાર પર ઈઝરાયલી હુમલાનો ભય

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવનો માહોલ ઊભો થયો છે. બુધવારે મોડી રાત્રે તેહરાનમાં યોજાનારા અંતિમ સંસ્કારને અચાનક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,…

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વિનાશક બન્યું: 1145 લોકોના મોત

મધ્ય-પૂર્વમાં તણાવની પરાકાષ્ઠા વચ્ચે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભયાનક હુમલાઓએ પરિસ્થિતિને અત્યંત ગંભીર બનાવી છે. છેલ્લા પાંચ દિવસથી ચાલતા યુદ્ધમાં નાગરિકો અને સૈનિકો સહિત કુલ 1145…