અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટથી જામીન, 2 વર્ષ 10 મહિના બાદ જેલમાંથી મુક્ત

અમદાવાદના ચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. લગભગ 2 વર્ષ 10 મહિના સુધી જેલમાં રહ્યા બાદ તથ્ય પટેલ આજે જેલમાંથી મુક્ત થયો છે. સુપ્રીમ કોર્ટે જામીન માટે 1 કરોડ રૂપિયાના બોન્ડની શરત મૂકી હતી, જે પૂર્ણ થયા બાદ તેની મુક્તિનો માર્ગ ખુલ્યો હતો.

આ કેસ 19 જુલાઈ 2023ની મધરાતે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બનેલી ભયાનક દુર્ઘટના સાથે સંકળાયેલો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોના ટોળા પર તથ્ય પટેલે પૂરપાટ ઝડપે પોતાની જેગુઆર કાર ચઢાવી દીધી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હતા, જ્યારે 13થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી.

ઘટનાના બે દિવસ બાદ, 21 જુલાઈ 2023ના રોજ પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી. બંને સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ તથ્ય પટેલને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો.

જામીન અરજીની સુનાવણી દરમિયાન આરોપીના વકીલોએ દલીલ કરી હતી કે કેસમાં કુલ 191 સાક્ષીઓમાંથી માત્ર 29 સાક્ષીઓની જ પૂછપરછ પૂર્ણ થઈ છે અને ટ્રાયલ હજુ લાંબો સમય ચાલી શકે છે. વકીલોએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી લગભગ 2 વર્ષ 10 મહિના જેલમાં વિતાવી ચૂક્યો છે અને હજુ સુધી તેને દોષિત જાહેર કરવામાં આવ્યો નથી.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન મૃતકોના પરિવારજનોને વળતર આપવા સંબંધિત મુદ્દે પણ ચર્ચા કરી હતી. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ટ્રાયલ ચાલુ હોવાથી આ તબક્કે વળતર અંગે કોઈ નિર્ણય લેવો યોગ્ય નહીં ગણાય.

આ કેસમાં પોલીસે ઝડપી તપાસ કરીને માત્ર 7 દિવસમાં 1,684 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. ચાર્જશીટમાં IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2), 114 અને 118 સહિત વિવિધ કલમો તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળના ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટ, FSL રિપોર્ટ, પંચનામા અને સાક્ષીઓના નિવેદનો સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કરાયા હતા.

અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ હવે તે કાયદેસર રીતે ભારતમાં કોઈપણ પ્રકારનું વાહન ચલાવી શકશે નહીં. હાલ તથ્ય પટેલને જામીન મળ્યા હોવા છતાં કેસની ટ્રાયલ પ્રક્રિયા ચાલુ છે અને કોર્ટનો અંતિમ ચુકાદો આવવાનો બાકી છે.

 

 

 

  • Related Posts

    ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યા 4 ઉમેદવાર, રાજ્યસભામાં પણ અપનાવી ‘નો રિપીટ થિયરી’

    ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ચાર બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે આ…

    એક દિવસનો પ્રવાસ અને ૫૬ મેગા પ્રોજેક્ટ્સ! નમો એરપોર્ટથી લઈને આઇકોનિક બ્રિજ સુધી…

    PM મોદી 5 જૂને દમણની ઐતિહાસિક મુલાકાતે: ₹૨,૯૭૦ કરોડના ૫૬ મેગા પ્રોજેક્ટ્સ સાથે ‘નવા ભારત’નો ઉદય! દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ઈતિહાસમાં ૫ જૂન…