B INDIA અમરેલી :- અમરેલીમાં નકલી લેટરકાંડમાં પાયલ ગોટીના વિવાદે રાજકીય ખેંચતાણ ચાલુ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા હતા. તો બીજી તરફ પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ મુદ્દે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે, જે થયું તે યોગ્ય નથી અને આવું ના થવું જોઈએ.પોલીસે ઉતાવળ કરી સરઘસ કાઢયું છે તે ના થવું જોઈએ.આ ઘટનાને પુરષોત્તમ રૂપાલાએ વખોડી હતી. સાથે સાથે કહ્યું કે, એસપી દ્વારા જે કમિટી નીમાઈ છે તેમાં તપાસ થવી જોઈએ. સાંસદે કહ્યું કે, પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરી હતી. સાંસદે સાથે સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે,કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઇ જાય છે.
-> પાયલ ગોટીનો વિવાદ કેમ સર્જાયો? :- અમરેલીમાં પાયલ ગોટીકાંડનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા. આ જ વિવાદમાં પાયલ ગોટી પર આંગળી ઊઠી કે તેણે જ લેટર વાયરલ કરાવ્યો છે. બસ, આના પછી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાતે લેટરકાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે. હવે આ ઘટના ભયાનક વળાંક લે છે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસે પકડ્યા એમાં પાયલ ગોટી નામની મહિલા પણ હતી.
-> ન્યાય મળે તે માટે હુંકાર: કથીરિયા :- નકલી લેટરકાંડમાં મુદ્દે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, અમરેલીમાં જે દીકરી પર પોલીસ કાર્યવાહી થઈ છે એ નિંદનીય છે. આ મામલે વકીલો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને દીકરીનું નામ આ લેટરકાંડમાંથી હટાવવામાં આવે એ અંગે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દેવાયું છે. કોર્ટ કાર્યવાહી થઇ રહી છે.






